- હવે તમારે ટ્રેનમાં બ્લેન્કેટ સાથે લઇ જવાની જરૂર નથી
- રેલવેએ એક જર્મ ફ્રી ડિસ્પોઝેબલ બેડરોલ તૈયાર કર્યું છે
- આ બેડરોલની કિંમત 300 રૂપિયા નિર્ધારિત કરાઇ છે
નવી દિલ્હી: જ્યારે પણ તમે રેલવેમાં મુસાફરી કરો છો ત્યારે તમારે સાથે ઓઢવા તેમજ પાથરવાની સામગ્રી લઇને જવું પડે છે પરંતુ હવે તમારે તે કોઇપણ વસ્તુ લઇ જવાની જરૂર નથી. હવે તમે તે બાબતે ચિંતામુક્ત રહેશો.
દર વખતે જ્યારે તમે લાંબા પ્રવાસનો વિચાર આવે ત્યારે સાથોસાથ એક બેગ તો બ્લેન્કેન્ટની સાથે લેવાની થાય. જો કે હવે રેલવેએ તમારી આ અગવડનું પણ સમાધાન શોધ્યું છે. રેલવેએ એક જર્મ ફ્રી ડિસ્પોઝેબલ બેડરોલ તૈયાર કર્યું છે.
રેલવેએ હવે એવો નિર્ણય કર્યો છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન સહિત અન્ય મોટા રેલવે સ્ટેશન પર યાત્રોને જર્મ ફ્રી ડિસ્પોઝેબલ બેડરોલ મળશે. 300 રૂપિયાની કિંમતવાળા આ બેડરોલમાં યાત્રીએ એક ધાબળો, બે ચાદર, તકિયો અને કવર, માસ્ક, ટૂથ બ્રશ, પેસ્ટ, કાંસકો, પેપરસોપ, સેનેટાઇઝર તેમજ પથારીને સાથે લઇ જવા માટે એક બેગ મળશે. જો મુસાફર માત્ર ધાબળો લેવા જ ઇચ્છે છે તો તેને 150 રૂપિયા આપવા પડશે.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સોમવારે જ આ સુવિધા શરૂ કરવામાં આવી છે. અજમેરી ગેટ તેમજ પહાડગંજ બંને તરફ તેના કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન સાથે જ હજરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર પણ આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. રેલવેની યોજના છે કે આગામી સપ્તાહે જુની દિલ્હી તેમજ ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર પણ આ સુવિધાનો મુસાફરો લાભ લઇ શકશે.
તે ઉપરાંત અલ્ટ્રા વાયોલેટ આધારિત સેનેટાઇઝર મશીન પણ લગાવવામાં આવ્યા છે. રેલવેને આશા છે કે આ બંને સુવિધાઓથી રેલવેને દર વર્ષે 1 કરોડ રૂપિયાની એકસ્ટ્રા કમાણી થશે.
આપને જણાવી દઇએ કે પહેલા એસી કોચમાં મુસાફરોને એક ધાબળો, 2 ચાદર, એક તકિયો, ટોવેલ આપવામાં આવતું હતું પરંતુ કોરોના સંક્રમણ ફેલાવવાથી રોકવા માટે ગત વર્ષે માર્ચમાં આ સુવિધાને બંધ કરવામાં આવી હતી. જો કે હવે આ સેવા ફરી શરૂ કરાઇ છે.
(સંકેત)