ઇતિહાસનું પુનરાવર્તન, 27 વર્ષ બાદ ફરીથી રાજ્યસભામાં નથી જમ્મૂ-કાશ્મીરનો કોઇપણ સદસ્ય
- સંસદના ઉપલા ગૃહમાં ઇતિહાસનું થયું પુનરાવર્તન
- સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 27 વર્ષ બાદ ફરીથી કોઇપણ સભ્યો જમ્મૂ કાશ્મીરમાંથી નથી
- હાલમાં જ જમ્મૂ કાશ્મીરના ચાર સભ્યોના કાર્યકાળ પૂર્ણ થયા બાદ આ સ્થિતિ સર્જાઇ
નવી દિલ્હી: સંસદના ઉપલા ગૃહમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 27 વર્ષ બાદ ફરીથી કોઇપણ સભ્યો જમ્મૂ કાશ્મીરમાંથી નથી. આવું પ્રથમ વાર નથી થયું અગાઉ ત્રણ વખત આવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં જ જમ્મૂ કાશ્મીરના ચાર સભ્યોના કાર્યકાળ પૂર્ણ થયા બાદ આ સ્થિતિ સર્જાઇ છે. રાજ્યસભામાં આ પ્રકારની સ્થિતિ અન્ય રાજ્યો સાથે પણ થઇ ચૂકી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજ્યસભામાં જે ચાર સભ્યોનો કાર્યકાળ હાલમાં પૂર્ણ થયો છે તેમાં PDP પાર્ટીના મીર મહમ્મદ ફયાઝ અને નિયાઝ અહમદ, કોંગ્રેસના ગુલામ નબી આઝાદ અને ભાજપના શમશેર સિંહ સામેલ છે. જો કે, આ પહેલા વર્ષ 1994 અને 1996માં પણ રાજ્યસભામાં જમ્મૂ કાશ્મીરના કોઇ પ્રતિનિધિ નહોતા.
ઉલ્લેખનિય છે કે, 21 નવેમ્બર 2018ના જમ્મુ કાશ્મીરની એસેમ્બલીને ગવર્નરે ભંગ કરી દીધી હતી. તે બાદ ત્યાં 6 મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી યોજવાની હતી પરંતુ કેટલાંક કારણોના લીધે એવું થઈ શક્યું નહી. તેનું એક મોટું કારણ વિધાનસભાના ક્ષેત્રોમાં થયેલા ફેરફાર છે. ડિલિમિટેશન થયા બાદ ત્યાં ચૂંટણી યોજવી શક્ય છે.
જ્યારે લદ્દાખ એક નવો કેન્દ્રશાસિત પ્રદેશ છે તો ત્યાં પર પણ નવી વિધાનસભાનું ગઠન કરવાનું છે. હાલ બંન્ને જ જગ્યાઓ પર એસેમ્બલીની ગેરહાજરીના કારણ ત્યાં રાજ્યસભાના સભ્યો ચૂંટવા માટે પુરતો આધાર નથી. તેથી કેટલાંક સમય માટે દેશની સંસદનું ઉપલાગૃહ આ બંન્ને રાજ્યોના પ્રતિનિધિઓથી વંચિત રહેશે.
(સંકેત)