બાળકો માટે કોરોનાની રસીને લઈને રાહતના સમાચારઃ ટ્રાયલ પૂર્ણ
- ઓગસ્ટ અંત કે સપ્ટેમ્બરમાં અપાશે રિપોર્ટ
- રસી અસરકાર હોવાની શકયતાઓ
- ટ્રાયલમાં બાળકોમાં રસીની અસર જોવા મળી
દિલ્હીઃ કોરોનાને મ્હાત કરવા માટે માત્ર કોવિડ-19ની રસી જ એક માત્ર ઈલાજ છે. જેથી હાલ સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ 40 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની ચર્ચાઓ વહેતી થઈ છે. બીજી તરફ બાળકોને પણ કોરોનાથી સુરક્ષિત કરવા માટે રસીની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બાળકો ઉપર કોર્વેકિસનની ટ્રાયલ માટેનો બીજો ડોઝ આપવાની પ્રક્રિયા પુર્ણ થઇ ગઇ છે. જેથી હવે ટૂંક સમયમાં બાળકો માટે રસી આવવાની આશા વ્યક્ત થઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ટ્રાયલ દરમિયાન કિશોરોને રસી આપી સુરક્ષા વિશે જાણવામાં આવ્યું છે. ત્યારબાદ 6થી1 વર્ષના બાળકો તથા છેલ્લે 2થી6 વર્ષના બાળકોને રસી અપાઇ હતી. 2થી6 વર્ષની વયના બાળકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. જેથી હવે ટ્રાયલનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. આ દરમિયાન બાળકોમાં રસીની અસર જોવા મળી છે. આ ટ્રાયલનો છેલ્લો રીપોર્ટ ઓગસ્ટના અંત અથવા સપ્ટેમ્બરમાં આવશે. ટ્રાયલ દરમિયાન રસી બાળકો માટે કેટલી સુરક્ષિત તે જાણવા મળ્યું છે. તેનો ઇર્મજન્સી ઉપયોગ શરૂ કરી શકાશે. દેશના 6 હોસ્પિટલોના 525 બાળકો પર તેની ટ્રાયલ આપી રહી છે. બાળકોને કોરોનાને લઈને વાલીઓ ચિંતિત છે. હાલ દેશના અનેક રાજ્યોમાં સ્કૂલો ઓફલાઈન શરૂ કરવામાં આવી છે. જો કે, મોટાભાગના વાલીઓ જ્યાં સુધી કોરોનાની રસી ના અપાય ત્યાં સુધી સંતાનોને સ્કૂલ મોકલવા માટે તૈયાર નહીં હોવાનું એક સર્વેમાં સામે આવ્યું હતું.
(Photo-File)