NIMCJને બીએજેએમસી ઓનર્સ ડિગ્રીનો ચોથા વર્ષનો અભ્યાસક્રમ ચલાવવાની માન્યતા મળી
આ અભ્યાસક્રમ માટે NIMCJ ગુજરાત યુનિવર્સિટીની એકમાત્ર માન્ય સંસ્થા
અમદાવાદ, 10 જૂન 2026: NIMCJને બીએજેએમસી ઓનર્સ ડિગ્રીનો ચોથા વર્ષનો અભ્યાસક્રમ ચલાવવાની માન્યતા આપવામાં આવી છે. બેચલર ઓફ આર્ટસ (જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન) બીએજેએમસી ઓનર્સના ચોથા વર્ષમાં પ્રવેશ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે)માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ અભ્યાસક્રમ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા માત્ર NIMCJ ને માન્યતા પ્રાપ્ત થઈ છે.
પ્રવેશ માટે લાયકાત
આ પ્રવેશ પ્રક્રિયાની વધુ વિગતો આપતા સંસ્થાના નિયામક પ્રો (ડૉ) શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ બીએજેએમસીના છ સેમેસ્ટર પૂર્ણ કર્યા હોય અને ચોથા વર્ષમાં એટલે કે ઓનર્સ ડિગ્રી માટે આગળ અભ્યાસ કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ સંસ્થામાં પ્રવેશ લઈ શકે છે. ઓનર્સ ડિગ્રી માટે અગાઉના 6 સેમેસ્ટરમાં કોઈ બેકલોગ ન હોવો જોઈએ જ્યારે ઓનર્સ રિસર્ચ માટે અગાઉના તમામ સેમેસ્ટરના સરેરાશ 75% ગુણ મેળવેલા હોવા જોઈએ.

કયા અભ્યાસક્રમ કરી શકાશે?
સંસ્થા દ્વારા જુલાઈથી પ્રારંભ થનારા ચોથા વર્ષના અભ્યાસક્રમમાં મીડિયા રિસર્ચ, પોડકાસ્ટ પ્રોડકશન, મીડિયા સ્ટાર્ટઅપ, ડિફેન્સ કમ્યુનિકેશન, સાયન્સ કોમ્યુનિકેશન, મીડિયા એઆઈ ટુલ્સ, ડિજિટલ મીડિયા માર્કેટિંગ, વીએફએક્સ, સિનેમેટોગ્રાફી, ડેટા એનાલિટિક્સ, રિસર્ચ પદ્ધતિઓ અને ઇન્ડસ્ટ્રી આધારિત રિસર્ચ પ્રોજેક્ટ્સ, એશિયન મીડિયા પર્સપેક્ટિવ સહિતના વિષયો નિષ્ણાતો દ્વારા ભણાવવામાં આવશે.
આ એક વર્ષના અભ્યાસથી શું લાભ થશે?
આ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં વધારે અભ્યાસ કર્યા વગર સરળતાથી પ્રવેશ મળી શકે છે અને ઓનર્સ રિસર્ચની ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી સીધો પીએચડી સંશોધનમાં પ્રવેશ મેળવી શકે છે. આ અભ્યાસક્રમમાં ગુજરાતની અને ગુજરાત બહારની યુનિવર્સિટીઓના બીએજેએમસીના ત્રણ વર્ષ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકે છે. પ્રવેશ પ્રક્રિયા અને સંસ્થાની વિગતો માટે www.nimcj.org અથવા 07600068443 પર સંપર્ક કરવા વિનંતી.


