
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નર્મદા મુખ્ય નહેર આધારિત પાઈપલાઈન મારફતે સિંચાઈનું પાણી અપાશે
અમદાવાદઃ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણયની અંગે માહિતી આપતા પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, પૂરક સિંચાઈ માટે નર્મદા મુખ્ય નહેર આધારીત પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 1029 મિલિયન ક્યુબિક ફૂટ તેમજ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 1302 મિલિયન ક્યુબિક ફૂટ મળી કુલ 2331 મિલિયન ક્યુબિક ફૂટ નર્મદાનું પાણી આગામી તારીખ 30 જૂન, 2024 સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તામંત્રીએ જણાવ્યું કે, નર્મદા મુખ્ય નહેર આધારિત પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે. અગાઉ, નર્મદા મુખ્ય નહેર આધારિત પાઈપલાઈનો મારફતે ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 591 મિલિયન ક્યુબિક ફૂટ તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 1600 મિલિયન ક્યુબિક ફૂટ મળી કુલ 2191 મિલિયન ક્યુબિક ફૂટ પાણીની પીવાના હેતુસર ફાળવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત, આગામી ચોમાસા પહેલા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર થાય, તે આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નર્મદાના પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજીત 60,000 એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.