1. Home
  2. ગુજરાતી
  3. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાઃ 9 વર્ષમાં નાગરિકોની અંદાજે રૂ. 23,000 કરોડની બચત થઈ
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાઃ 9 વર્ષમાં નાગરિકોની અંદાજે રૂ. 23,000 કરોડની બચત થઈ

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાઃ 9 વર્ષમાં નાગરિકોની અંદાજે રૂ. 23,000 કરોડની બચત થઈ

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સ્ટોલની કામગીરીની દેખરેખ માટે વેપાર મેળામાં જન ઔષધિ સ્ટોલની મુલાકાત લીધી હતી. મંત્રીએ સમગ્ર દેશમાં સુગમ અને પરવડે તેવી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે ભારત સરકારના ઉમદા પ્રોજેકટની માહિતી ઉપલબ્ધ કરાવવાની પણ સરાહના કરી હતી. છેલ્લાં 9 વર્ષોમાં, જનઔષધિ કેન્દ્રોની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે, જે વર્ષ 2014માં ફક્ત 80 હતી અને હવે તે વધીને 9998 કેન્દ્રોથી વધારે થઈ ગઈ છે, જે દેશનાં લગભગ તમામ જિલ્લાઓ છે. નાણાકીય વર્ષ એટલે કે 2022-23માં પીએમબીઆઈએ રૂ. 1236 કરોડનાં મૂલ્યની જન ઔષધિ દવાઓનું વેચાણ કર્યું છે, જેનાથી નાગરિકોને આશરે રૂ. 7416 કરોડની બચત થઈ છે. છેલ્લા 9 વર્ષમાં, કેન્દ્રોની સંખ્યામાં 100 ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ 170 ગણો વધારો થયો છે. એકંદરે છેલ્લાં 9 વર્ષ દરમિયાન નાગરિકો માટે અંદાજે રૂ. 23,000 કરોડની કુલ બચત આ ઉમદા યોજનાને કારણે જ શક્ય બની છે.

નવી દિલ્હીનાં પ્રગતિ મેદાન ખાતે 14થી 27 નવેમ્બર દરમિયાન 42મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો એક ભાગ હોવાને કારણે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (પીએમબીજેપી) દ્વારા હોલ નંબર 5 (સ્ટોલ નંબર 8-બી)માં એક નિદર્શન સ્ટોલ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાં સામાન્ય જનતાને આ ઉમદા પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓથી વાકેફ કરવામાં આવી રહી છે. આ સ્ટોલના માધ્યમથી જન ઔષધીની સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાની દવાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવી રહી છે.

આપણે સૌ જાણીએ છીએ કે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ તમામને વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાનો શુભારંભ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ જનઔષધિ કેન્દ્રો તરીકે ઓળખાતા સમર્પિત આઉટલેટ્સ જેનેરિક દવાઓ પ્રદાન કરવા માટે ખોલવામાં આવે છે. 31 ઓક્ટોબર 2023ના રોજ, 9998 જનઔષધિ કેન્દ્રો દેશભરમાં કાર્યરત છે. પીએમબીજેપીની પ્રોડક્ટ બાસ્કેટમાં 1965 દવાઓ અને 293 સર્જિકલ ઉપકરણોનો સમાવેશ થાય છે, જે રિટેલ શોપ્સ પર બ્રાન્ડેડ દવાઓની તુલનામાં 50 ટકાથી 90 ટકા સસ્તા ભાવે વેચાય છે. પીએમબીજેપીએ 1965થી વધારે ગુણવત્તાયુક્ત દવાઓની કિંમતોમાં ધરખમ ઘટાડો કર્યો છે અને આ દવાઓને વસતિના મોટા વર્ગ, ખાસ કરીને ગરીબો અને દીર્ઘકાલીન રોગો ધરાવતા દર્દીઓની પહોંચની અંદર ઉપલબ્ધ કરાવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code