રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ હેન્ડલૂમ એવોર્ડ્સ 2025 એનાયત કર્યા
નવી દિલ્હી, 07 ઓગસ્ટ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે હાથશાળ ક્ષેત્ર માત્ર આજીવિકાનું સાધન જ નથી, પરંતુ સર્વસમાવેશી વિકાસનું એક સશક્ત માધ્યમ પણ છે. આજે નવી દિલ્હીમાં 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે હાથશાળ હજારો વર્ષોથી ભારતની સંસ્કૃતિ અને સભ્યતાનો અભિન્ન અંગ રહ્યું છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રે માત્ર દેશના સમૃદ્ધ વારસાનું જ જતન કર્યું નથી, પરંતુ રોજગાર, મહિલા સશક્તિકરણ, કળા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને પણ પ્રોત્સાહન આપ્યું છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે હાથશાળ ક્ષેત્ર રોજગારીની વિશાળ તકો પૂરી પાડે છે. તેમણે નોંધ્યું હતું કે દેશના હાથશાળ ક્ષેત્ર સાથે 35 લાખથી વધુ લોકો સંકળાયેલા છે, જેમાં આશરે 25 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે હાથશાળ ભારતની સ્વતંત્રતાની લડત અને આત્મનિર્ભરતાની ભાવના સાથે ઊંડી રીતે જોડાયેલું છે તથા દેશની અદભૂત સાંસ્કૃતિક વિવિધતાના પ્રતીક સમાન છે. રાષ્ટ્રપતિએ દેશના વણકરો, ઉદ્યમીઓ, ડિઝાઈનરો, વિદ્યાર્થીઓ અને હાથશાળ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે બોલતા કાપડ મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે સરકાર હાથશાળ (હેન્ડલૂમ) ને ટકાઉ અને પર્યાવરણ-અનુકૂળ કાપડ તરીકે પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે નોંધ્યું હતું કે આગામી વર્ષોમાં હાથશાળની બનાવટોની માંગ વધવાની સંભાવના છે અને ખાતરી આપી હતી કે સરકાર એ સુનિશ્ચિત કરશે કે આ વધતી જતી માંગનો લાભ સીધો વણકરો સુધી પહોંચે. તેમણે યુવાનોને વણાટકામના વ્યવસાયને અપનાવવા માટે પણ આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2025 માટે ‘સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ્સ’ અને ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ એવોર્ડ્સ’ અર્પણ કર્યા. કુલ 22 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 3 ‘સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ્સ’ અને 19 ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ એવોર્ડ્સ’નો સમાવેશ થાય છે. આ પુરસ્કારો વણકરોને તેમની અસાધારણ કારીગરી, નવીનતા અને ભારતીય હાથશાળ (હેન્ડલૂમ) પરંપરાને જાળવી રાખવામાં આપેલા યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યા હતા.
વધુ વાંચો: મહિલા T20 એશિયા કપ 2026નું સમયપત્રક જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 5 સપ્ટેમ્બરે


