1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિના 140થી વધુ પ્લોટ્સ પર દબાણો, વોર્ડ ઈન્સ્પેક્ટર્સને મહિનામાં રિપોર્ટ આપવા સુચના
અમદાવાદ મ્યુનિના 140થી વધુ પ્લોટ્સ પર દબાણો, વોર્ડ ઈન્સ્પેક્ટર્સને મહિનામાં રિપોર્ટ આપવા સુચના

અમદાવાદ મ્યુનિના 140થી વધુ પ્લોટ્સ પર દબાણો, વોર્ડ ઈન્સ્પેક્ટર્સને મહિનામાં રિપોર્ટ આપવા સુચના

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પો.ની માલિકીના કરોડોની કિંમતના પ્લોટ્સ પરના દબાણો હટાવવાની માગ ઊઠી છે. શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં અસામાજિક તત્વો અને માથાભારે શખસો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 4000 જેટલા ખુલ્લા પ્લોટમાંથી 140થી વધુ જેટલા ગેરકાયદેસર દબાણ હોવાની સ્ફોટક વિગતો સામે આવી હતી.  તાજેતરમાં મળેલી ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીમાં તમામ વોર્ડ ઈન્સ્પેકટરોને ફરજિયાત લોગબુક ભરવા માટે જણાવવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીના કેટલાક પ્લોટ્સ પર માથાભારે લોકોએ કબજો કરી લીધો હોવાની ફરિયાદો ઊઠી હતી. આથી તાજેતરમાં મળેલી મ્યુનિની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીની બેઠકમાં તમામ વોર્ડ ઈન્સ્પેક્ટરોએ ફરજિયાત લોકબુક ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વોર્ડ ઈન્સ્પેક્ટરોને એક મહિનામાં લોગબુક ભરી અને પ્લોટ ક્લીયર હોવાનો રિપોર્ટ કમિટીમાં રજૂ કરવા પણ સુચના આપવામાં આવી હતી. ઉપરાંત કમિટીમાં શહેરમાં 18×24 મીટરના ડ્રાફટ કે ફાઇનલ ટીપી રોડ છે તેને ખોલવામાં ન આવ્યા હોય તો તેને ખુલ્લા કરવા માટે જણાવવામાં આવ્યું છે જેથી ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઈ શકે છે. કોર્પોરેશનના તમામ કોમ્યુનિટી હોલની વ્યવસ્થા જાળવવા માટે સૂચના આપવામા આવી હતી.

શહેરમાં સૌથી વધુ મધ્ય ઝોન એટલે કે કોટ વિસ્તારમાં આવેલા પ્લોટમાં ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. મધ્ય ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ હોય કે પ્લોટમાં દબાણ વધુ હોવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. એસ્ટેટ અધિકારીની રહેમનજર હોવાથી તેઓ જ તોડતા નથી કે કેમ ? કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદે દબાણ થતા હોવાનું ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટિના ચેરમેનના ધ્યાને આ બાબત આવતાં તેઓએ તાત્કાલિક અધિકારીઓને પ્લોટમાં વિઝીટ કરી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સૂચના આપી હતી. જો કે કોર્પોરેશનના આવા પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ ન હોવાને કારણે દબાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં આવેલા ઉત્તર અને દક્ષિણ ઝોનમાં તેમજ પશ્ચિમ વિસ્તારમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એકપણ પ્લોટમાં દબાણ ન હોવાનું કોર્પોરેશન તંત્રનો દાવો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની મોટી બેદરકારીથી અસામાજિક તત્વો પ્લોટમાં દબાણ કરી અને મકાનો તેમજ ઝુંપડા બાંધી દે છે અથવા કબજો જમાવી લે છે. કોર્પોરેશન તંત્ર તેમની સામે કાર્યવાહી કેમ નથી કરતું તેના પર મોટો સવાલ ઉભો થયો છે. જો કે આવા અસામાજિક તત્વો અને કબજો જમાવનાર લોકો સાથે એસ્ટેટ વિભાગના અધિકારીઓની જ મિલીભગત હોય છે અને સમયસર હપ્તા મળતા હોવાથી તેઓ આંખ આડા કાન કરતા હોવાથી તેઓની સામે કોઈ કાર્યવાહી થતી નથી. શું ચાર ઝોનમાં ખુલ્લા પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણ પોલીસની મદદથી આવા દૂર કરી લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે?

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code