રેલવે મંત્રાલયના અમદાવાદ– ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી
ગાંધીનગર, 13 મે 2026: રેલવે મંત્રાલયના અમદાવાદ– ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે રૂ. 20,667 કરોડના કુલ ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે.
પ્રોજેક્ટનો આ વિભાગ અમદાવાદ, ધોલેરા સર, આગામી ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. અમદાવાદને ધોલેરા સાથે જોડવાથી મુસાફરોના મુસાફરીના સમયમાં ઘટાડો થશે, જેનાથી આરામદાયક દૈનિક મુસાફરી અને તે જ દિવસે પરત ફરવાનું શક્ય બનશે. આ સેમી હાઈ-સ્પીડ રેલવે માત્ર બે શહેરોને જ નજીક નહીં લાવે પરંતુ સેંકડો કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે. ભારતના પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ તરીકે, આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સેમી હાઈ-સ્પીડ રેલના તબક્કાવાર વિસ્તરણ માટે સંદર્ભ મોડેલ તરીકે કામ કરતા અગ્રણી પ્રોજેક્ટ તરીકે સેવા આપશે.
નવી લાઇનનો પ્રસ્તાવ સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે અને ગતિશીલતામાં સુધારો કરશે, જે ભારતીય રેલવે માટે ઉન્નત કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતા પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ભારતના વિઝનને અનુરૂપ છે જે આ વિસ્તારમાં વ્યાપક વિકાસ દ્વારા આ પ્રદેશના લોકોને “આત્મનિર્ભર” બનાવશે, જેનાથી તેમની રોજગારી/સ્વ-રોજગારની તકોમાં વધારો થશે.
-
આયોજન પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર કરવામાં આવ્યું
પ્રોજેક્ટનું આયોજન પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર કરવામાં આવ્યું છે, જેમાં સંકલિત આયોજન અને હિતધારકોની સલાહ દ્વારા મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે.
ગુજરાતના અમદાવાદ જિલ્લાને આવરી લેતો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 134 કિમીનો વધારો કરશે. સૂચિત પ્રોજેક્ટ આશરે 284 ગામોની કનેક્ટિવિટી વધારશે, જેની વસ્તી અંદાજે 5 લાખ છે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને ઉર્જા કાર્યક્ષમ પરિવહનનું માધ્યમ હોવાથી, આબોહવા લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, તેલની આયાત ઘટાડવા (0.48 કરોડ લિટર) અને CO2 ઉત્સર્જન ઘટાડવામાં (2 કરોડ કિલો) મદદ કરશે, જે 10 (દસ) લાખ વૃક્ષોના વાવેતર સમાન છે.


