ઉનાળામાં લૂ અને ગરમીથી બચવા ડાયટમાં સામેલ કરો આ 6 સુપરફૂડ્સ, શરીરને મળશે ઠંડક
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શરીરમાં ગરમીનું પ્રમાણ વધવા લાગે છે, જેના કારણે ડિહાઇડ્રેશન, થાક અને પાચનની સમસ્યાઓ સર્જાય છે. સામાન્ય રીતે આપણે દૂધી, તુરીયા, તરબૂચ અને કાકડી જેવા શાકભાજી-ફળો ખાઈએ છીએ, પરંતુ આ સિવાય પણ કેટલાક એવા કુદરતી ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે શરીરની ગરમીને કુદરતી રીતે ઘટાડવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે.
ગુંદ કાતીરા : કુદરતી કુલન્ટ
ગુંદ કાતીરા ઉનાળા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની તાસીર ઠંડી હોય છે. રાત્રે થોડો ગુંદ કાતીરા પાણીમાં પલાળી દો. સવાર સુધીમાં તે જેલી જેવો થઈ જશે. સવારે દોઢ ચમચી ગુંદ કાતીરાને પાણીમાં ઓગાળીને પીવો. સ્વાદ માટે તેમાં લીંબુ અને મધ ઉમેરી શકાય છે.
નારિયેળ પાણી: ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક
નારિયેળ પાણી માત્ર હાઇડ્રેશન જ નહીં, પણ લિવર અને કિડની માટે પણ આશીર્વાદરૂપ છે. તેમાં રહેલા મિનરલ્સ થાક દૂર કરીને તરત જ ઉર્જા આપે છે અને શરીરનું તાપમાન જાળવી રાખે છે.
સબ્જા અને ચિયા સીડ્સ: પાચન અને ઠંડક
ચિયા કે સબ્જાના બીજ ફાઈબર અને ગુડ ફેટથી ભરપૂર હોય છે. તેને પાણીમાં પલાળીને જેલી જેવું થયા પછી શરબત અથવા સલાડમાં ઉમેરી શકાય છે. તે પાચનતંત્ર સુધારે છે અને પેટને ઠંડક આપે છે.
સત્તુનું શરબત: લૂ સામે રક્ષણ
શેકેલા ચણા કે તેમાંથી બનેલું સત્તુ પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. બિહારમાં લોકપ્રિય એવું સત્તુનું ડુંગળી અને લીલા મરચાવાળું ચટપટું શરબત પીવાથી ઉનાળામાં લૂથી બચી શકાય છે.
વરિયાળી: પાચનનો રાજા
મોટે ભાગે આપણે જમ્યા પછી મુખવાસ તરીકે વરિયાળી ખાઈએ છીએ, પરંતુ ઉનાળામાં વરિયાળીનું શરબત પીવું અત્યંત ફાયદાકારક છે. તે પેટની બળતરા અને પાચનની સમસ્યાઓમાં રાહત આપે છે.
જવનું પાણી : બોડી ડિટોક્સ
જવનું પાણી શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. યુરિન ઈન્ફેક્શન (UTI) જેવી સમસ્યાઓમાં પણ જવનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
ઉનાળામાં આ કુદરતી પીણાં અને ખોરાકનો ઉપયોગ કરવાથી મોંઘા અને ખાંડયુક્ત કોલ્ડ ડ્રિંક્સથી બચી શકાય છે અને શરીરને લાંબા સમય સુધી તાજગીસભર રાખી શકાય છે.


