- શેરબજારમાં તેજી યથાવત
- બે દિવસમાં 3000 અંકનો ઉછાળો
- રોકાણકારોએ 10.35 લાખ કરોડ રૂપિયાથી વધુ બનાવ્યા
નવી દિલ્હી: દેશની અર્થવ્યવસ્થામાં છવાયેલી મંદીને દૂર કરવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની તરફથી તાજેતરમાં ઘોષિત બૂસ્ટર ડૉઝ શેરબજારને ખૂબ પસંદ પડયો છે. શુક્રવારે પ્રધાનની ઘોષણા બાદ શેરબજારમાં ભારે ઉછાળાનો સિલસિલો સતત ચાલુ રહ્યો હતો. આ કારણ છે કે ગત બે સત્રમાં બીએસઈ સેન્સેક્સમાં 2996.56 અંકની બઢત જોવા મળી હતી. તો એનએસઈ પણ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાને કારણે ઝૂમી રહ્યું છે અને તેમા બે દિવસમાં 898.6 અંકનો ભારે ઉછાળો જોવા મળ્યો છે. આની અસર એ છે કે અત્યાર સુધી રોકાણકારોએ બજારમાંથી 10.35 લાખ કરોડ રૂપિયાથી વધારેની રકમ બનાવી છે.
સેન્સેક્સ ગુરુવારે 470.1ના ઘટાડા સાથે 36093.47 પર બંધ થયો હતો. તે એનએસઈ નિફ્ટી 135.85 અંક તૂટીને 10704.80 પર બંધ થયો હતો. જો કે શુક્રવારે સવારે નાણાં પ્રધાનની ઘોષણા સાથે શેરબજારમાં ભારે તેજીનો સિલસિલો યથાવત રહ્યો હતો, તે સાંજ સુધી ચાલુ રહ્યો હતો. બીએસઈના 30 શેરો પર આધારીત સેન્સેક્સમાં ગત સપ્તાહના આખરી સત્રમાં 1921.15 અંકનો ભારે ઉછાળો જોવા મળ્યો અને તે 38014.62 અંક પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 569.40 અંકના વધારા સાથે 11274.40 પર બંધ થયો હતો.
બીએસઈ સેન્સેક્સ સોમવારે ફરીથી 39 હજાર અંકના સ્તરને પાર કરી ગયો અને 1075.41 અંક ઉછળીને 390990.031 અંક પર બંધ થયો. આ એક સમયમાં 3941.12 અંકના સ્તર પર પહોંચી ગયો હતો. એનએસઈના નિફ્ટી પર પણ ઉછાળાનો તબક્કો ચાલુ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી સોમવારે 329.20 અંક એટલે કે 2.92 ટકાની તેજી સાથે 11603.40 અંક પર બંધ થયો.
શેર બજારમાં ભારે ઉછાળાના દમ પર બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં ગત બે દિવસમાં 1035213.03 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને તે 14889652.44 કરોડ રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો છે. ગુરુવારે કંપનીઓની એમ-કેપ 13854439.41 કરોડ રૂપિયા પર હતી.
નિર્મલા સીતારમણે શુક્રવારે જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક પહેલા કોર્પોરેટ ટેક્સમાં ભારે ઘટાડાની ઘોષણા કરી હતી. તેમણે દેશમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા મટે કોર્પોરેટ ટેક્સમાં 10 ટકા સુધીના ઘટાડાનું એલાન કર્યું હતું.