અમદાવાદના સારંગપુર બસ સ્ટેન્ડમાં શેડ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ બસ
અમદાવાદઃ શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલા એએમટીએસ બસ સ્ટેન્ડમાં આજે સવારે અચાનક એક શેડ ધરાશાયી થયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. લોખંડના થાંભલાના આવેલા કાટના કારણે શેડ ધરાશાયી થયો હોવાનું જાણવા મળે છે. શેડના કાટમાળ નીચે બસ દબાઈ હતી. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ક્રેનની મદદથી શેડના કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હત.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસની બસો કોરોના નિયંત્રણ હળવા થતા સમગ્ર શહેરમાં પહેલાની જેમ હાલ દોડી રહી છે. તેમજ તેમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમાં મુસાફરી કરે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં દોડતી મોટાભાગની બસો કાલુપુર અને સારંગપુર બસ સ્ટેન્ડમાં ઉભી રહે છે. દરમિયાન આજે સવારના સમયે સારંગપુર બસ સ્ટેન્ડમાં અચાનક એક શેડ ધરાશાયી થઈ ગયો હતો. આ શેડ વર્ષ 2013માં તૈયાર કરવામાં આવ્યો હતો. દરમિયાન લોખંડની પાઈપને આવેલા કાટના કારણે શેડ ધરાશાયી થયો હોવાનું મનાઈ રહ્યું છે. શેડ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. તેમજ શેટનો કાટમાળ એક બસ ઉપર પડ્યો હતો. આ બનાવની જાણ થતા એએમટીએસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ક્રેઈનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. જો કે, શેડ ધરાશાયી થવાને પગલે તેની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયાં છે.