ગુજરાતમાં તા. 18મી ફેબ્રુઆરીથી સ્કૂલોમાં ધો-6થી 8ના વર્ગો થશે શરૂ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ધો-9થી 12ના વર્ગો શરૂ કર્યાં બાદ હવે સરકાર પ્રાથમિક ધોરણના વર્ગો પણ શરૂ કરવા જઈ રહી છે. તા. 18મી ફેબ્રુઆરીથી ધો-6થી 8ના વર્ગો સ્કૂલોમાં શરૂ કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રાથમિક ધોરણના વર્ગો શરૂ કરવા માટે વિચારણા ચાલી રહી છે. જેના પગલે તાજેતરમાં જ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને ફરજીયાત હાજરીનો નિર્દેશ કર્યો હતો. દરમિયાન આજે સરકાર દ્વારા ધો-6થી 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 18મી ફેબ્રુઆરીથી સ્કૂલોમાં ધો-6થી 8ના વર્ગો સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર શરૂ કરવામાં આવશે. સ્કૂલ સંચાલકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવાની સાથે જે બાળકો સ્કૂલ નથી આવી શકતા તેમના માટે ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા પ્રથમ ધો-10 અને 12ના વર્ગો શરૂ કર્યાં બાદ ધો-9 અને 11ના વર્ગો નિયમ અનુસાર શરૂ કરવામાં આવ્યાં હતા. તેમજ ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલકોને પણ ટ્યુશન ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે સરકાર દ્વારા ઉનાળાનું વેકેશન ટુંકુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે તેવી શકયતા છે.