શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 340 રૂપિયા નક્કી કરાઈ
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે મોટા નિર્ણયોને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગઠાકુરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વર્ષ 2024-25 માટે ખાંડ મિલો દ્વારા શેરડીના વાજબી અને વળતરલક્ષી ભાવ FRPને મંજૂરી આપવામાં આવી છે. હવે શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 340 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય પશુધન મિશનમાં વધારાની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવાની મંજૂરી આપી છે. આ અંતર્ગત અનેક પશુ ઓલાદોના સંરક્ષણ માટે રાજ્ય સરકારને પણ સહાય આપવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, અવકાશ ક્ષેત્ર પર FDI નીતિમાં સંશોધનની પણ મંજૂરી આપવામાં આવી છે.
FDI નીતિમાં સંશોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે કરાયું હતું. કેબિનેટે વર્ષ 2026 સુધીના સમયગાળા માટે ફ્લડ મેનેજમેન્ટ અને બોર્ડર એરિયા પ્રોગ્રામને પણ મંજૂરી આપી છે. આ કાર્યક્રમ હેઠળ કુલ 4 હજાર 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કેબિનેટે મહિલા સુરક્ષા પર અમ્બ્રેલા યોજના લાગુ કરવાના પ્રસ્તાવને પણ લીલી ઝંડી આપી દીધી છે.