તાલિબાને કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા, ચીને કહ્યું આતંકવાદીઓ હવે લોકોના કલ્યાણ માટે કામ કરશે
- અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન રાજ
- કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા
- તાલિબાનનો આતંક અફ્ઘાનિસ્તાનમાં વધ્યો
દિલ્હી :અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના આવવાની સાથે જ સ્થિતિ એટલી હદે બગડી છે કે જેની ના પુછો વાત, મીડિયા રિપોર્ટ અનુસાર લોકોને કાબુલ એરપોર્ટમાં પ્રવેશતા અટકાવવા માટે તાલિબાન હવામાં ગોળીબાર કરી રહ્યા છે અને એકે 47થી માર મારી રહ્યાં છે. આ પહેલા ગુરુવારે, અફઘાનિસ્તાનમાં તાલિબાન લડવૈયાઓએ ગુરૂવારે અફઘાન ધ્વજ લહેરાવીને આઝાદીની ઉજવણી કરતા લોકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટના યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન દેશના અસાદાબાદ શહેરમાં બની હતી. અસદાબાદ શહેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક રેલી કાઢવામાં આવી હતી.
મહત્વની વાત એ છે કે આ પ્રકારના તાલિબાનના આતંક બાદ પણ ચીન તાલિબાનને સમર્થન કરી રહ્યું છે અને ચીન દ્વારા કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ હવે લોકોના કલ્યાણ માટે કામ કરશે. સમગ્ર દુનિયાએ જોયુ કે કઇ રીતે તાલિબાનીઓએ અફઘાનિસ્તાન અને રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. દુનિયાના તમામ દેશોએ તાલિબાનની નિંદા કરી છે અને અફઘાનિસ્તાનના લોકોની ચિંતા કરી રહ્યા છે તેવામાં 2 દેશ છે જે તેમના વખાણ કરી રહ્યા છે. બીજા કોઇ નહી પણ આ બંને દેશ છે પાકિસ્તાન અને ચીન. પહેલાથી જ પાકિસ્તાન આતંકવાદને સપોર્ટ કરી રહ્યું છે અને ચીન પાકિસ્તાનને.
હવે ચીન તાલિબાનના પ્રવક્તાની જેમ વાતો કરી રહ્યું છે. ગુરુવારે ચીન દ્વારા કહેવામાં આવ્યુ છે કે તેમણે તાલિબાનીઓ સાથે વાત કરીને તેમને જણાવ્યુ છે કે અફઘાનિસ્તાનમાં સત્તા પોતાના હાથામાં લીધા બાદ તેઓ પોતાના ઉદ્દેશ્યો તરફ જુએ. ચીને વધુમાં જણાવ્યુ કે આ આતંકી સંગઠનનું આકલન તેના કામ બદલ થવુ જોઇએ. તે હવે પહેલાની જેમ ક્રુર નથી રહ્યા. ચીન તરફથી કહેવામાં આવ્યુ કે તાલિબાનના વિચારો હવે આધુનિક થયા છે અને તેઓ ખુબ વિવેકશીલ છે.