ગુજરાતમાં ટેન્કર રાજઃ 200થી વધારે ગામોને દર વર્ષે ઉનાળામાં ટેન્કરથી પુરુ પડાય છે પાણી
અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા થાય છે. પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા ટેન્કરો મારફતે પાણી પુરુ પાડવામાં આવે છે. લગભગ 230 ગામમાં ટેન્કરો દોડાવવામાં આવતી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમનું પાણી રાજ્યભરમાં પુરુ પાડવામાં આવે છે. અમદાવાદ સહિતના શહેરી વિસ્તારો ઉપર ગામડાઓમાં નળ મારફતે પાણી પુરુ પાડવામાં આવે છે.
જો કે, રાજ્યના 230 ગામમાં ટેન્કર મારફતે પાણી પુરુ પાડવામાં આવે છે. બનાસકાંઠાના સૌથી વધારે 26 જેટલા ગામમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત ભરૂચના 20 અન અમરેલીના 19માં પાણી પુરુ પાડવામાં આવે છે. આ ગામમાં પાણી પુરવઠાની કોઈ યોજનાનું પાણી પહોંચતું નહીં હોવાનું જાણવા મળે છે. કચ્છના લગભગ 877 જેટલા ગામને નર્મદા યોજના હેઠળ પાણી પુરુ પાડવામાં આવે છે. જ્યારે દાહોદના 346 ગામમાં સાદા કુવા મારફતે પાણી પુરુ પાડવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં દર વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની સમસ્યા ઉભી થાય છે. ચાલુ વર્ષે સારો વરસાદ થતા જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. જો કે, ઉનાળાના આરંભ સાથે જ સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 50 ટકા જેટલા લાઈવ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ઉભી થવાની શક્યતા છે.