1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ગધેડાની વસતીમાં 70.94 ટકાનો ઘટાડો, હવે માત્ર 11000 ગધેડાં જ બચ્યા છે
ગુજરાતમાં ગધેડાની વસતીમાં 70.94 ટકાનો ઘટાડો, હવે માત્ર 11000 ગધેડાં જ બચ્યા છે

ગુજરાતમાં ગધેડાની વસતીમાં 70.94 ટકાનો ઘટાડો, હવે માત્ર 11000 ગધેડાં જ બચ્યા છે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગદર્ભ યાને ગધેડાંની વસતીમાં ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2017માં ગુજરાતમાં ગધેડાંની વસતી 50,000 જેટલી હતી એમાં ઘટાડો થઈને હવે 11,000ની વસતી છે. ગધેડાંની વસતી ઘટવાના અનેક કારણો છે, એમાં ગધેડાની ઘટતી ઉપયોગિતા, ચરવા માટેની અપૂરતી જમીન, ચોરી અને ગેરકાયદેસર કતલ, વગેરે છે.

રાજ્યમાં ગધેડાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. વાસ્તવમાં, ગુજરાત એ ટોચના ત્રણ રાજ્યોમાંનું એક છે કે જ્યાં ગધેડાની વસ્તીમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. જે રાષ્ટ્રીય સરેરાશ 61.23% ના ઘટાડા કરતાં વધુ છે. યુકે સ્થિત ઈન્ટરનેશનલ ઈક્વીન ચેરિટી બ્રુકના ચેપ્ટર બ્રુક ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા ઈન્વેસ્ટિગેશન મુજબ ગુજરાતમાં ગધેડાની સંખ્યામાં 70.94% ઘટાડો થયો છે. બ્રુકેએ કારણ આપતાં કહ્યું હતુ કે ગધેડાની ઘટતી ઉપયોગિતા, ચરવા માટેની અપૂરતી જમીન, ચોરી અને ગેરકાયદેસર કતલને લીધે ગધેડાંની સંખ્યા ઘટાડાના મુખ્ય કારણો તરીકે દર્શાવ્યા છે. અહેવાલમાં ગધેડાઓની ગેરકાયદેસર કતલ સાથે ચીનની લિંક હોવાનો પણ સંકેત આપવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પશુધનની વસ્તી ગણતરી 2019 મુજબ ભારતમાં હાલમાં કુલ ગધેડાની વસ્તી 1.12 લાખ છે. 2012 માં હાથ ધરવામાં આવેલી અગાઉની વસ્તી ગણતરીની તુલનામાં આ 61.23 ટકા નો ઘટાડો છે. ગુજરાતમાં ગધેડાની વસ્તી 2012માં 39,000 હતી તે ઘટીને 2019માં 11,000 થઈ ગઈ છે, જે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સમાન છે. ગુજરાત અને નેપાળ બોર્ડર સહિત છ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા ફિલ્ડ વિઝિટ અને ઈન્ટર્વ્યુ પર આધારિત આ અભ્યાસમાં ગધેડાની ચામડી અને માંસ માટે પણ ગેરકાયદેસર હત્યા તેમજ સ્મગ્લિંગ કરવામાં આવતું હોવાનું કહેવાય છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રિપોર્ટમાં જયપુર અને ગુજરાતના દાહોદ જિલ્લાના ગધેડાના માલિકોની મુલાકાતો અને તેમના નિવેદનો સ્પષ્ટપણે ચીનની લિંક તરફ સંકેત આપે છે. જયપુરના રહેવાસીએ સંશોધનકર્તાઓને જણાવ્યું કે, “આ પ્રાણીઓને કાં તો કસાઈવાડે લઈ જવાય છે અને તેમની ચામડી ચીન મોકલવામાં આવે છે અથવા તેને જીવતા ચીનમાં લઈ જવામાં આવે છે. દાહોદમાં રિપોર્ટના તપાસકર્તાઓને જણાવવામાં આવ્યું હતું કે દાહોદની હદમાં આવેલા કેટલાક ઈંટના ભઠ્ઠાઓ પર દૂરના રાજ્યોમાંથી કેટલાક વેપારીઓ ગધેડા ખરીદવા માટે સતત મજૂરોની મુલાકાત લેતા રહે છે. તેમણે ખુલાસો કર્યો કે આ વેપારીઓ આંધળા કે લંગડા ગધેડા પણ ખરીદે છે, જેના કારણે પ્રશ્ન ઉભો થાય છે કે તેમની ચામડી અથવા માંસ માટે કતલ કરવા સિવાય તેઓ બીજો શું ઉપયોગ કરી શકે. ગુજરાત સરકારે પણ ગદર્ભને બચાવવા માટે પગલાં લેવા જોઈએ. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code