સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.54 મીટર ઉપર પહોંચી
- ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાયું
- નદી કાંઠા વિસ્તારના ગામોને સાબદા કરાયાં
- નર્મદા નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
અમદાવાદ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન જળ સપાટી 134.54 મીટરે પહોંચી છે.
હાલ સરદાર સરોવર ડેમના તમામ 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલીને 5,28,464 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. બીજી તરફ રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 44,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ રીતે નર્મદા નદીમાં કુલ 5,72,000 ક્યુસેક પાણીની જાવક છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને સાબદા કરવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર નર્મદા ડેમમાં પાણીની આવક 3,90,656 ક્યુસેક નોંધાઈ રહી છે, ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી રહી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી નર્મદા ડેમમાં જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.