1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુજલામ સુફલામ જળઅભિયાનને એક મહિના પહેલા ફેબ્રુઆરીથી હાથ ધરાશે
સુજલામ સુફલામ જળઅભિયાનને એક મહિના પહેલા ફેબ્રુઆરીથી હાથ ધરાશે

સુજલામ સુફલામ જળઅભિયાનને એક મહિના પહેલા ફેબ્રુઆરીથી હાથ ધરાશે

0
Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતુ કે, સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – 2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં મે – 2018 થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના 74510 કામો પૂર્ણ થયા છે. જેના થી જળ સંગ્રહ ક્ષમતામાં 86199 લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના 33 જિલ્લાઓમાં 26981 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.

ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું 17812 કામો પૂર્ણ થયા હતા. જેમાં 20.81 લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી જ્યારે 24 હજાર 418 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો.

મંત્રીએ કહ્યું હતુ કે, રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code