ભારત-પાક, મેચને લીધે આજે અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિકનો ધસારો રહેશે, પ્રવાસીઓ માટે એડવાઈઝરી
અમદાવાદ: શહેરમાં આજે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની રોમાંચક મેચ યોજાશે. આ મેચને જોવા માટે માત્ર અમદાવાદ કે ગુજરાતમાંથી જ નહીં પણ દેશના અન્ય પ્રાંતમાંથી પણ ક્રિકેટરસિયાઓ આવશે. જ્યારે વીવીઆઈપીઓનો જમાવડો પણ જામશે. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લનના પાર્કિંગ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે આજે શનિવારે એરપોર્ટ ટ્રાફિકથી ધમધમતું રહેશે. પ્રવાસીઓના ધસારાના પગલે સરદાર પટેલ એરપોર્ટ ઓથોરિટીએ ખાસ એડવાઈઝરી બહાર પાડી છે.
અમદાવાદ શહેરના સરદાર વલ્લભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે ખાસ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં 14મી ઓક્ટોબરે યોજાનારી અત્યંત અપેક્ષિત ICC વર્લ્ડ કપ મેચને કારણે VIP અને મુસાફરોની અવરજવરમાં વધારો થવાની અપેક્ષા છે. આથી SVPI એરપોર્ટ દ્વારા પરિવહન કરતા પ્રવાસીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ એરપોર્ટ પર આવવા માટે વધારાનો સમય ફાળવે, જેથી આગળની મુસાફરી અગાઉથી ગોઠવી શકાય અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ માટે પુરતો સમય મળી શકે, એરપોર્ટ પરનો સ્ટાફ પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તેમજ તેમની સુરક્ષા માટે હંમેશા પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર આજે શનિવારે સવારથી જ ચાર્ટર્ડ પ્લેનની આવન-જાવન શરૂ થઈ જશે. મુંબઈ, દિલ્હી સહિત મહાનગરોમાંથી વીવીઆઈપીઓ ચાર્ટર્ડ પ્લેન દ્વારા જ આવવાના હોવાથી ચાર્ટર્ડ પ્લેનના પાર્કિંગ માટેની એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાર્કિંગ ફુલ થઈ જશે તો વડોદરા એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનને પાર્કિંગ માટે મોકલાશે.