અમદાવાદઃ રાજ્ય માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડીયાદ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં બસમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક પુરફાટ ઝડપે જતી ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે બસમાં બેઠેલા પ્રવાસીઓએ બૂમરાણ મચાવી હતી. આ ઘટનામાં બે પ્રવાસીના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. ખાનગી લક્ઝરી બસ અમદાવાદથી પુના જઇ રહી હતી એ દરમિયાન જ નડિયાદ નજીક અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર કેટલાક પેસેન્જર ઘાયલ થતા તેઓને સારવાર માટે નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખનગી લકઝરી બસ અમદાવાદથી પુના જઈ રહી હતી. ત્યારે એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ સાઈડની રેલિંગ તોડીને પલટી ખાઈ ગઈ હતી. જેમાં બે પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અક્સ્માતની જાણના પગલે ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એક્સપ્રેસ હાઇવે પોલીસ પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બસમાં સવાર પ્રવાસીઓને બહાર કાઢવા માટે હાઇવેની ટીમ કામે પણ લાગી છે. ક્રેઈનની પણ મદદ લેવામાં આવી હતી.