લીંબડીઃ રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે લિંબડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો.ખાનગી લક્ઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ બે વ્યકિતના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ – અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક પાણશીણા ગામના પાટિયા પાસે અમદાવાદથી જાન લઈને રાજકોટ જઈ રહેલી ખાનગી બસના ચાલકે બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર લીંબડીના બે યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા. જ્યારે અકસ્માત સર્જીને લક્ઝરી બસનો ચાલક નાસી છૂટતા જાનૈયાઓને અન્ય વાહનમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, લીંબડીમાં ભીમનાથ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ કિર્તીભાઈ પટેલ અને ભલગામડા ગેટ પાસે કણબીવાડમાં રહેતો તેમનો મિત્ર ઈમરાન યુનિસભાઈ ઝારા બાઈક લઈને કોઈ કામ અર્થે બગોદરા જઈ રહ્યા હતા ત્યારે પાણશીણા ગામના પાટિયા સામે અમદાવાદથી રાજકોટ જાનૈયાઓને લઈને જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બન્ને યુવકો રસ્તા પર ફંગોળાઈ જતાં ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે જ બને યુવકના મોત નીપજયા હતા. તેમજ અકસ્માત સર્જીને લક્ઝરી બસનો ચાલક નાસી છૂટયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેની જાણ થતાં પાણશીણા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરાવી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. અકસ્માત બાદ જાનની ખાનગી લકઝરી બસનો ચાલક નાસી છુટતા જાનૈયાઓને અન્ય વાહનમાં રાજકોટ લઈ જવાયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્ને યુવકોની લાશને પી.એમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યારે બન્ને યુવાનોના મોતના સમાચાર સાંભળી પરિવારજનો સહિત મિત્ર સર્કલમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી અને આ અંગે પાણશીણા પોલીસે અકસ્માત સર્જનાર લક્ઝરી બસના ચાલકની સામે ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી હતી.