1. Home
  2. ગુજરાતી
  3. 26 વર્ષ જૂની એરલાઇન્સ જેટ એરવેઝનું ભવિષ્ય આજે થશે નક્કી, પાયલટ્સે ટાળી હડતાલ
26 વર્ષ જૂની એરલાઇન્સ જેટ એરવેઝનું ભવિષ્ય આજે થશે નક્કી, પાયલટ્સે ટાળી હડતાલ

26 વર્ષ જૂની એરલાઇન્સ જેટ એરવેઝનું ભવિષ્ય આજે થશે નક્કી, પાયલટ્સે ટાળી હડતાલ

0

આર્થિક સંકટો સામે ઝઝૂમી રહેલી વિમાન કંપની જેટ એરવેઝનું ભવિષ્ય નક્કી કરવા માટે સોમવારે એટલે કે આજે એક મહત્વની મીટિંગ થવા જઈ રહી છે. એરલાઇન્સનું મેનેજમેન્ટ એવી અપેક્ષા રાખી રહ્યું છે કે સોમવારે થનારી આ મીટિંગમાં તાત્કાલિક ફંડ જાહેર કરવા માટે લેણદારો રાજી થઈ જશે. જોકે અત્યાર સુધી બેન્કોએ 1500 કરોડ રૂપિયાના રીલીઝ ફંડમાંથી માત્ર 200 કરોડ રૂપિયા જાહેર કર્યા છે.

આ મીટિંગના પરિણામો પર જેટ એરવેઝના કર્મચારીઓનું વલણ આધારિત છે. આ મીટિંગને ધ્યાનમાં રાખીને હાલ જેટ એરવેઝના પાયલટ સંગઠને ‘વેતન નહીં તો કામ નહીં’નો નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે જેટના પાયલટ સંગઠન નેશનલ એવિયેટર્સ ગિલ્ડ (NAG)એ એવી જાહેરાત કરી હતી કે સોમવારે સવારે 10 વાગ્યાથી તેઓ પ્લેન નહીં ઉડાવે. પરંતુ પછી એમ નક્કી થયું કે સોમવારે યોજાનારી મીટિંગ સુધી આ નિર્ણય અંગે રાહ જોવામાં આવે.  

જેટ એરના 1600 પાઈલટમાંથી 1100 પાઈલટ નેશનલ એવિએટર્સ ગિલ્ડ સાથે જોડાયેલા છે. NAGના સિનિયર કમાન્ડર અને વાઇસ પ્રેસિડેન્ટ કેપ્ટન અસિમ વલિયાની જણાવે છે કે, જેટના પાયલટ્સ, એન્જિનિયર્સ અને મેનેજર્સને છેલ્લા 3 મહિનાથી કોઈ પગાર મળ્યો નથી. ઉપરાંત, છેલ્લા 7-8 મહિનાથી પણ પગાર ઘણો અનિયમિત થઈ ગયો છે.

કેપ્ટન અસિમ જણાવે છે કે, એસબીઆઇ બેન્ક દ્વારા સરકારે અમને વચન આપ્યું હતું કે આ મુદ્દે તેઓ દરમિયાનગીરી કરશે. સરકારે કહ્યું હતું કે 20,000 નોકરીઓ બચાવવાના મુદ્દે સરકાર ગંભીર છે અને આ માટે 1500 કરોડ રૂપિયા આપવામાં આવશે પરંતુ અમને હજુ સુધી તો કોઈ પૈસા દેખાયા નથી.

જેટ એરવેઝની મુશ્કેલીઓનો ફાયદો હવે હરીફ એરલાઈન્સ ઉઠાવી રહી છે. આ હરીફ એરલાઇન્સ અત્યાર સુધી અન્ય એરલાઈન્સના પાઈલટ્સ અને એન્જિનિયર્સને વધુ પગાર અને બોનસ આપીને બોલાવતી હતી, પરંતુ હવે પાઈલટ્સને 30% અને એન્જિનિયર્સને 50% ઓછો પગાર ઓફર કરાઈ રહ્યો છે.

સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયામાં નોકરી માટે અરજી કરનારા એક મેઇન્ટેનન્સ એન્જિનિયર જણાવે છે કે, જેટમાં મારું પેકેજ પ્રતિ માસ રૂ. ચાર લાખનું છે, પરંતુ હવે મને રૂ. દોઢથી બે લાખ સુધીની ઓફર થઈ રહી છે. આ મુદ્દે સ્પાઈસ જેટના એક અધિકારીએ કહ્યું હતું કે, જેટમાં પગાર ઈન્ડસ્ટ્રીની સરેરાશ કરતા વધુ આપવામાં આવે છે. અમે અમારા નિયમો પ્રમાણે પગાર ઓફર કરી રહ્યા છીએ.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓછો પગાર ઓફર કરવાના કારણે અનેક સિનિયર પાઈલટ્સ હજુ જેટ એરવેઝની નોકરી છોડવા નથી માંગતા. કો-પાઈલટ્સને જેટમાં પ્રતિ માસ રૂ. 2.9 લાખ પગાર મળે છે. જોકે, તેઓ રૂ.2 લાખના પગાર સુધી અન્ય એરલાઈન્સમાં નોકરી કરવા તૈયાર છે. જેટ સિવાય ફક્ત સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયા પાસે બોઇંગ વિમાન છે. એટલે પાયલટ્સ પાસે નોકરીના વિકલ્પો ઓછા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code