કોલકાતામાં મંચ ઉપર પીએમ મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
કોલકાતા, 9 મે, 2026 – કોલકાતામાં ભાજપની પ્રથમ સરકારના શપથ સમારંભમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ ઉપર પહોંચ્યા બાદ ત્યાં ઉપસ્થિતિ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા હતા. વડાપ્રધાને સૌપ્રથમ શ્રી માખનલાલને શાલ ઓઢાડી હતી અને ત્યારબાદ તેમના ચરણસ્પર્શ કરીને ઘણા લાંબા સમય સુધી તેમને ભેટી રહ્યા હતા.
વડાપ્રધાન મોદીના આ જેશ્ચરથી સૌના મનમાં એક સવાલ ઊભો કરી દીધો કે આખરે આ વડીલ કોણ છે જેમના સન્માનમાં PM મોદીએ પોતાનું શીશ ઝુકાવી દીધું.
અવસર હતો શુભેન્દુ અધિકારીના શપથગ્રહણ સમારોહનો, કોલકાતાનું ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ અને દૂર-દૂર સુધી ફેલાયેલો લોકોનો મહેરામણ. આ દરમિયાન મંચ પરથી આવેલી એક તસવીરે સૌનું ધ્યાન ખેંચી લીધું. PM મોદીએ એક વડીલ વ્યક્તિને શાલ ઓઢાડી, અને પગે લાગીને તેમને ગળે લગાવી લીધા.
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારે શપથ લીધા
એટલું જ નહીં, PM ઘણી વાર સુધી તે વડીલ સાથે વાત કરતા રહ્યા અને તેમને ગળે લગાવી રાખ્યા. PM મોદીના આ પગલાએ સૌના મનમાં એક સવાલ ઉભો કરી દીધો કે આખરે આ વડીલ કોણ છે જેમના સન્માનમાં PM મોદીએ પોતાનું શીશ ઝુકાવી દીધું.
કોણ છે માખનલાલ સરકાર?
માખનલાલ સરકાર રાષ્ટ્રવાદી વિચારધારા અને જનસંઘના શરૂઆતના પાયાના નેતાઓમાં ગણાય છે. તેમનો રાજકીય અને વૈચારિક સંઘર્ષ દાયકાઓ જૂનો છે. વર્ષ 1952માં જ્યારે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કાશ્મીરમાં ભારતીય તિરંગો લહેરાવવાનું ઐતિહાસિક આંદોલન શરૂ કર્યું હતું, ત્યારે માખનલાલ સરકાર તેમના સહયોગી તરીકે તેમની સાથે જ હતા. આ આંદોલનના કારણે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેમણે જેલમાં સમય પસાર કર્યો હતો.
બંગાળમાં ભાજપના વિકાસમાં મહત્ત્વનું યોગદાન
વર્ષ 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના થયા બાદ તેમને બંગાળના પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જિલ્લાઓમાં સંગઠનને મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની સંગઠનાત્મક ક્ષમતાનું જ પરિણામ હતું કે માત્ર એક વર્ષમાં તેમણે લગભગ 10,000 નવા સભ્યોને ભાજપ સાથે જોડ્યા હતા.
વર્ષ 1981થી શરૂ કરીને સતત સાત વર્ષ સુધી તેમણે પાર્ટીના જિલ્લા અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તે સમયની રાજનીતિમાં આ એક અત્યંત અસાધારણ સિદ્ધિ માનવામાં આવતી હતી, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ નેતા કોઈ એક સંગઠનાત્મક પદ પર બે વર્ષથી વધુ સમય સુધી રહી શકતા નહોતા. આજે બંગાળમાં મળેલી જીત પાછળ આવા જ પાયાના નેતાઓના દાયકાઓના સંઘર્ષનો પાયો છે.


