West Bengal Election: પીએમ મોદીની અપીલ,પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને કોવિડ -19 પ્રોટોકોલ અપનાવો
- કોરોનાની વચ્ચે પશ્ચિમ બંગાળમાં મતદાન
- પીએમ મોદીએ લોકોને કરી અપીલ
- પોતાના મતાધિકારનો ઉપયોગ કરો – પીએમ
કોલકતા : દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના 7 મા તબક્કા માટે મતદાન યોજવામાં આવી રહ્યું છે. રાજ્યના 5 જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને કોવિડ -19 સંબંધિત તમામ સાવચેતીઓનું પાલન કરે. 7 મા તબક્કામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગૃહ મત વિસ્તાર ભવાનીપુર સહિત 34 બેઠકો પર 86 લાખથી વધુ મતદારો 284 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેશે.
પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે,પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સાતમા તબક્કા માટે આજે મતદાન થશે. લોકોને વિનંતી છે કે, તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને કોવિડ -19 થી સંબંધિત તમામ પ્રોટોકોલોનું પાલન કરે. 7 માં તબક્કામાં મુર્શિદાબાદ અને પશ્ચિમ વર્ધમાન જિલ્લાના 9-9,દક્ષિણ દિનાજપુર અને માલદા જિલ્લામાં 6-6 અને કોલકતા દક્ષિણમાં 4 વિધાનસભા મત વિસ્તારોમાં મતદાન ચાલી રહ્યું છે.
સમસેરગંજ અને જંગીપુરમાં બે ઉમેદવારોના નિધન બાદ આ બંને બેઠકો પર મતદાન મુલતવી રાખવામાં આવ્યું હતું અને હવે અહીં 16 મેના મતદાનની તારીખ નક્કી કરવામાં આવી છે. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ તબક્કામાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે કેન્દ્રીય દળોની ઓછામાં ઓછી 796 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોવિડ -19 સંબંધિત પ્રોટોકોલનું કડક પાલન થાય તે માટે પગલા પણ લેવામાં આવશે. તેમણે કહ્યું કે સાતમા તબક્કામાં 12,068 મતદાન મથકો પર મતદાન થશે.