દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કોરોનાના રસીકરણ બાદ અપાતા સર્ટિફિકેટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાથી વિવાદ સર્જાયો હતો. તેમજ વિપક્ષ દ્વારા મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરાયો હતો. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં કોરોનાની રસી લેનારને આપવામાં આવતા સર્ટીફિકેટ ઉપર હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ફોટો લગાવવાનો નિર્ણય લેવાયો છે. મમતા સરકારના આ નિર્ણયનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) વડાપ્રધાન પદની ગરિમા જાળતુ નહીં હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેમજ 18થી 44 વર્ષ સુધીના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. રસીના સર્ટિફિકેટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવેલો છે. જેનો તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીમાં મમતા બેનર્જીએ વિરોધ કરીને ચૂંટણીપંચમાં ફરિયાદ પણ કરી હતી. તેમજ આ મુદ્દે વિપક્ષે પણ સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો વિજય થતા ફરીથી મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યાં છે. હવે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે નિર્ણય લીધો છે કે, રાજ્ય તરફથી યોજાનારા ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં 18થી 44 વર્ષની ઉંમરના લોકોને વેક્સિનેશન બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીની તસવીરવાળા સર્ટિફિકેટ આપવામાં આવે. ટીએમસીનું માનવું છે કે, વેક્સિનેશન સર્ટિફિકેટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીની તસવીર હોય તેમાં કશું ખોટું નથી. ટીએમસીના સૌગત રૉયે જણાવ્યું કે, આ પહેલા ભાજપવાળાએ કર્યું હતું અને જો તેઓ આવું કરી શકે તો અમે પણ એવું કરી શકીએ. તે આવું ન કરતા તો અમે પણ ન કરતા.
ભાજપના સીનિયર નેતા અને રાજ્ય પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યાના કહેવા પ્રમાણે ટીએમસી વડાપ્રધાનના પદની ગરિમા નથી સ્વીકારી રહ્યું. ટીએમસી એક અલગ નિર્ભર દેશ જેવું વર્તન કરી રહી છે. ટીએમસી એ માનવા તૈયાર જ નથી કે તે લોકો જ્યાં છે તે ભારતનું એક રાજ્ય છે.