મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી વન્યજીવ તસ્કરી રેકેટનો પર્દાફાશ, 54 દુર્લભ જીવો બચાવાયા
- સીબીઆઈ અને ડીઆરઆઈએ વિવિધ સ્થળોએ પાડ્યાં દરોડા
- આ રેકેટમાં છ આરોપીઓને મુંબઈ અને કોલકતાથી ઝડપાયાં
મુંબઈ, 10 જુલાઈ 2026 : સીબીઆઈ અને ડીઆરઆઈએ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને વન્યજીવ તસ્કરી રેકેટોનો પર્દાફાશ કરીને છ આરોપીઓને ઝડપી લીધા છે. તેમની પાસેથી 54 જેટલા દૂર્લભ જીવને બચાવાયાં હતા. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ કરી છે. તેમજ ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. તપાસનીશ એજન્સીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ એક સંયુક્ત હાઈ-પ્રોફાઈલ ઓપરેશન હાથ ધરીને દેશના એક મોટા આંતર-રાજ્ય વન્યજીવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સફળ ઓપરેશન દરમિયાન ટીમે 15 સ્લો લોરીસ, 2 બિંટુરોંગ, 28 સ્ટાર કાચબા, 6 ઇજિપ્તીયન ગીધ અને 2 શિકરા પક્ષીઓ સહિત કુલ 53 અતિ સુરક્ષિત વન્યજીવો અને પક્ષીઓને તસ્કરોના ચુંગાલમાંથી મુક્ત કરાવીને બચાવ્યા છે. આ તમામ જીવો વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972 ની અનુસૂચિ-I હેઠળ આવે છે, જેમને ભારતીય કાયદા અનુસાર સર્વોચ્ચ સ્તરની સુરક્ષા પ્રાપ્ત છે.
ડીઆરઆઈ મુંબઈને મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગુનાહિત સિન્ડિકેટ ભારતના અલગ-અલગ ભાગોમાંથી આ દુર્લભ જીવોને ગેરકાયદેસર વેપાર માટે એકત્રિત કરતી હતી. સીબીઆઈએ આ મામલે બે અલગ-અલગ ગુના નોંધીને કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુંબઈથી નોમાન ખાન, મોહમ્મદ ફારૂક અને ઇન્શા શકીલ તથા કોલકાતાથી સૈકત બિસ્વાસ, મિથુન મંડલ ઉર્ફે હિમાંશુ મંડલ અને અર્જુન મંડલનો સમાવેશ થાય છે. આ તમામ સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદાકીય પ્રક્રિયા બાદ તમામ વન્યજીવોને સુરક્ષિત રાખવા માટે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના વન વિભાગને સોંપવામાં આવ્યા છે.


