રાષ્ટ્રીય ધોરીમાર્ગો-એક્સપ્રેસવે પરના ટોલ પ્લાઝા પર મહિલા સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો
નવી દિલ્હી, 6 માર્ચ 2026: ટોલ કામગીરીમાં મહિલા સશક્તિકરણ અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા માટે, NHAI એ દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે નેટવર્ક પરના 1,140થી વધુ ટોલ પ્લાઝા પર ટોલ બૂથનું સંચાલન કરવા માટે દિવસની શિફ્ટ દરમિયાન 5,100થી વધુ મહિલા સ્ટાફ તૈનાત કર્યો છે.
ફ્રન્ટલાઈન ઓપરેશનલ ભૂમિકાઓમાં વિશેષરૂપે મહિલા સ્ટાફને તૈનાત કરવાનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગના મુસાફરો માટે કાર્યક્ષમ, સહાનુભૂતિપૂર્ણ અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ વાતાવરણને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વપરાશકર્તાના અનુભવમાં નોંધપાત્ર સુધારો કરવાનો છે, તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી પ્લાઝા પરના ટોલ બૂથ પર વિવાદોની શક્યતા ઘટાડવાનો છે.
આ નિર્ણય ફી પ્લાઝા ઓપરેટરો અને મુખ્ય ઉદ્યોગ સંગઠનો જેવા કે નેશનલ હાઈવે બિલ્ડર ફેડરેશન (NHBF), હાઈવે ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (HOAI) અને ઓલ ઈન્ડિયા યુઝર ફી કોન્ટ્રાક્ટર્સ ફેડરેશન (AIUCF) સહિતના વિવિધ હિતધારકો સાથે વિચાર-વિમર્શ અને ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો હતો. તમામ ટોલ ઓપરેટરો ટોલ પ્લાઝા પર વપરાશકર્તા ફી વસૂલાત માટે દિવસની શિફ્ટ દરમિયાન મહિલા સ્ટાફ તૈનાત કરવા માટે સર્વસંમતિથી સંમત થયા છે.
5,100 થી વધુ મહિલા ટોલ સ્ટાફ પહેલેથી જ તૈનાત કરવામાં આવ્યો છે, અને નજીકના ભવિષ્યમાં વધુ સ્ટાફ જોડાય તેવી અપેક્ષા છે. NHAI આ પહેલના પાલનને સુનિશ્ચિત કરવા માટે તેના અમલીકરણ પર નજીકથી નજર રાખશે. આ પહેલ મહિલાઓ માટે, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રોજગારીની તકો ઉભી કરવામાં મદદ કરશે, જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ માળખાગત ક્ષેત્રમાં તેમની ભાગીદારી મજબૂત કરશે અને આ અંતરિયાળ વિસ્તારોમાં રોજગારી પેદા કરશે.
આ પહેલના ભાગ રૂપે, NHAI તૈનાત મહિલા સ્ટાફને, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના સ્ટાફને વિશેષ તાલીમની સુવિધા પણ આપશે. તાલીમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વપરાશકર્તાઓ સાથે નમ્ર વ્યવહાર, કટોકટીની પરિસ્થિતિઓને સંભાળવી, મૂળભૂત સુરક્ષા પ્રોટોકોલ અને કાર્યક્ષમ ટોલ પ્લાઝા કામગીરી જાળવવા જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સંરચિત ક્ષમતા નિર્માણ પ્રયાસ સુરક્ષિત અને વ્યાવસાયિક કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવાની સાથે સેવાની ગુણવત્તા વધારવામાં મદદ કરશે.
ફ્રન્ટલાઈન ઓપરેશનલ ભૂમિકાઓમાં મહિલાઓની વધુ સંડોવણીને પ્રોત્સાહિત કરીને, NHAI નો ઉદ્દેશ્ય દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટોલ પ્લાઝા પર સેવા વિતરણમાં સુધારો કરવાની સાથે જાતીય સર્વસમાવેશકતા અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.


