યોગી દુષ્ટ અને અત્યાચાર ગુજારનારાઓનો નાશ કરવાનું કામ કરી રહ્યાં છેઃ નીતિન ગડકરી
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે યોગી સરકારે અભિયાન શરૂ કર્યું છે. ગુનેગારોની સામે આકરી કાર્યવાહી કરવાની સાથે ગુનાની આવકથી ઉભી કરેલી મિલકત સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી યોગી સરકાર અને પોલીસની કામગીરીથી અસામાજીકતત્વોમાં ભય ફેલાયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગોરખપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરખામણી ભગવાન શ્રી કૃષ્ણ સાથે સરખામણી કરી હતી.
ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગયા હતા. જ્યાં તેમણે શિલાન્યાસ કર્યો અને 10,000 કરોડથી વધુના રોકાણ સાથે 18 નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન તેમણે કહ્યું કે, મારી પત્નીએ પૂછ્યું કે યુપીમાં શું ચાલી રહ્યું છે, તો મે તેમને કહ્યું કે, જે રીતે ભગવાન કૃષ્ણએ ધર્મની રક્ષા માટે મહાભારત દરમિયાન દુષ્ટોનો નાશ કરવા માટે શસ્ત્ર ઉપાડ્યું હતું, તેવી જ રીતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે લડી રહ્યા છે. દુષ્ટ અને તે અત્યાચારોનો નાશ કરવાનું કામ કરી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, પૃથ્વી પર જ્યારે પણ અન્યાય અને અત્યાચાર વધ્યા છે ત્યારે કોઈને કોઈ વ્યક્તિએ પૃથ્વી પર અવતાર લીધો છે. સમયાંતરે કોઈને કોઈ વ્યક્તિ દુષ્ટોનો નાશ કરવા આગળ આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ કંઈક આવું જ કરી રહ્યા છે. યોગીજી જે રીતે દુષ્ટોનો નાશ કરી રહ્યા છે, તે પ્રશંસનીય છે. આ માટે હું તેમને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું.