સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે
પટણા, 14 એપ્રિલ 2026: નીતિશ કુમાર રાજ્યસભાના સભ્ય બનતા તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. જેથી છેલ્લા કેટલાક સમયથી બિહારના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી. આ ચર્ચાઓનો આજે અંત આવી ગયો છે. એનડીએના ધારાસભ્યદળની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. દરમિયાન ઉપેન્દ્ર કુશવાહા સહિતના આગેવાનોએ સમ્રાટ ચૌધરીને શુભેચ્છાઓ પાઠવી હતી. આવતીકાલે 11 કલાકે લોકભવનમાં તેઓ શપથગ્રહણ કરશે. સમ્રાટ ચૌધરીની સાથે બે નાયબ મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે.

સુત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમાર રાજ્યસભામાં જતા બિહારના મુખ્યમંત્રીનુ પદ ખાલી પડ્યું હતું. નીતિશ કુમારે તાજેતરમાં જ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. તેમજ આજે જ તેમણે બિહાર સરકારની અંતિમ કેબિનેટમાં હાજરી આપી હતી. તેમજ મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યું હતું. બીજી તરફ બિહારમાં નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને ભાજપાએ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહને મહત્વની જવાબદારી સોંપી હતી. દરમિયાન આજે સાંજે એનડીએના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં વિધાયકદળના નેતા તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગી કરવામાં આવી હતી. વિજ્ય સિંહાએ ચૌધરીના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. હવે આવતીકાલે સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે. શપથવિધી સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહે તેવી શકયતા છે.
સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રજાની અપેક્ષા ઉપર ખરો ઉતરવાની કૌશિશ કરીશ. બિહારને વિકાસ, સુસાસન અને સમૃદ્ધિના નવા આયામ સુધી લઈ જવામાં આવશે. આ મારા માટે પદ નહીં સેવાનો અવસર છે. લગભગ 20 વર્ષથી પ્રજાની સેવા કરી રહ્યો છે. મને ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે કામ કરવોનો પણ મોકો મળ્યો છે. ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળવાનો ચાન્સ મળ્યો છે. વર્ષ 2015થી ભાજપા માટે સતત કામ કરી રહ્યો છે.
નીતિશ કુમારે આજે મંગળવારે રાજ્યપાલ સૈયદ અતા હસનૈનને મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું. લગભગ છ મિનિટ ચાલેલી વાતચીત બાદ, નીતિશ કુમાર લોકભવન છોડીને ગયા હતા. તેમણે હાથ જોડીને ભીડનું સ્વાગત કર્યું હતું.


