
અમદાવાદમાં 22 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત, પોલીસ સ્ટાફને રસીનો બીજો ડોઝ લેવા DGPની સૂચના
- પોલીસ કર્મચારીઓને તકેદારી રાખવા તાકીદ
- પોલીસ હાલ સતત ફરજ બજાવી રહી છે
- કોરોના મહામારીમાં પોલીસની કામગીરી પણ વધી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદમાં એક જ દિવસમાં 22 પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પણ ગંભીરતાથી લઈને તમામ પોલીસ સ્ટાફને કોરોના રસીનો બીજો ડોઝ લેવા તાકીદ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડની અછત ઉભી થઈ છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પોલીસે રાત્રિ કરફ્યુના અમલની સાથે લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી તે માટે સતત ફરજ બજાવી રહી છે. હવે કોરોનાની લપેટમાં પોલીસ કર્મચારીઓ પણ આવી રહ્યાં છે. અમદાવાદમાં એક જ દિવસમાં 22 પોલીસકર્મી કોવિડ પોઝિટિવ થયા છે. જેથી પોલીસ વિભાગમાં પણ ચિંતા વધી છે ત્યારે પોલીસ અધિકારીઓને વેક્સિન લેવા માટે સૂચના આપવામાં આવી છે.
કોરોના વાયરસના કેસ વધતાં હવે ડીજીપીએ બધા જ પોલીસકર્મીઓને તકેદારી રાખવા માટે સૂચના આપી છે. આ સિવાય તમામ પોલીસ સ્ટાફને કોરોના વાયરસની રસીના બે ડોઝ લઈ લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના રસીકરણના આરંભમાં પ્રથમ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ કોરોના વોરિયર્સ પોલીસ અધિકારી-કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.