
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર અને જિલ્લામાં હવે કોરોનાના કેસ ઘટતા જાય છે. કોરોનાના દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મહાત્મા મંદિર ખાતે સરકાર દ્વારા 900 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. જેનો સોમવારથી પ્રારંભ કરાય તેવી શક્યતા રહેલી છે. હોસ્પિટલમાં 225 બેડ આઇસીયુ વીથ વેન્ટીલેટરવાળા રખાયા છે. જ્યારે બાકીના 675 બેડ ઓક્સિજનવાળા રાખ્યા છે. હોસ્પિટલનું સંપૂર્ણ સંચાલન ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દ્વારા કરાશે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સેક્ટર-17 હેલીપેડ ખાતે 1200 બેડની હોસ્પિટલ ડીઆરડી અને તાતાના સહયોગથી ઊભી કરવાની જાહેરાત કરી હતી.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે માત્ર 20 દિવસમાં જ હોસ્પિટલ ઊભી કરી દેવાઈ છે. પરંતુ બેડ 1200માંથી ઘટાડીને 900 કરી દેવાયા છે. મહાત્મા મંદિર ખાતેની કોવિડ હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થવા પામી છે. મુખ્યપ્રધાન કાર્યાલયમાંથી લીલી ઝંડી આવે તો સોમવારે હોસ્પિટલનું ઉદ્દઘાટનની શક્યતાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું છે. કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની કમી રહે નહી તે માટે 54 ટન ઓક્સિજન ક્ષમતાવાળી ટેન્ક ફીટ કરાઈ છે. ઉપરાંત ઓક્સિજન યોગ્ય પ્રેસરથી દર્દીઓને મળી રહે તે માટેની તમામ પ્રકારની સુવિધા કરાઈ છે. મહાત્મા મંદિરમાં ઊભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ડાયરેક્ટ દાખલ કરાશે. જેના માટે સંચાલન કરતી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દ્વારા ફિવર ઓપીડી પણ શરૂ કરાશે. પરંતુ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટિંગ ગાંધીનગર મેડિકલ કોલેજમાં જ કરાશે. મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલનું સંચાલન ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવનાર છે. આથી કોવિડ હોસ્પિટલ માટે જરૂરી તબિબો, નર્સિંગ સહિતના સ્ટાફની આઉટ સોર્સિંગથી કરવામાં આવશે. કેમ કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જ હાલમાં સ્ટાફની ઘટ છે