પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગામડામાં AAP અને શહેરમાં BJP મજબૂત: રિપોર્ટ
- પંજાબ વિધાનસભાની ચૂંટણી
- ગામડામાં AAP મજબૂત જોવા મળી રહી છે
- તો શહેરોમાં BJPનું જોર
ચંદીગઢ: પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોના મત લેવા માટે મોટા મોટા વચન પણ આપવામાં આવી રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર પંજાબના ગ્રામ્ય વિસ્તારોમાં AAP પાર્ટીનું જોર જોવા મળી શકે તેમ છે તો શહેરી વિસ્તારોમાં BJPનું વર્ચસ્વ જોવા મળી શકે છે.
ભાજપે ફરી એકવાર પોતાની વ્યૂહાત્મક કુશળતા બતાવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વિવાદાસ્પદ બાબતોને એવી રીતે ઊભી કરી કે બંને પક્ષ પ્રચારના છેલ્લા દિવસોમાં એમાં જ ફસાયેલા દેખાઈ રહ્યા છે. ‘યુપીના ભૈયા વિવાદ’ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબોહર રેલીમાં જે રીતે કોંગ્રેસને ઘેરી હતી એનો તોડ પાર્ટી પ્રચારના અંત સુધી પણ શોધી શકી ન હતી. છેલ્લા ત્રણ દિવસના પ્રચારમાં ભાજપ શહેરોમાં વધુ મજબૂત થતો જોવા મળી રહ્યો છે.
આ વખતે સૌથી વધુ નુકસાન કોંગ્રેસ પાર્ટીને થવાની શક્યતા છે અને આ માટે બીજું કોઈ નહીં, પણ કોંગ્રેસ પોતે જ જવાબદાર છે.
પાર્ટીમાં ટિકિટની વહેંચણીને લઈને શરૂ થયેલો વિવાદ પ્રચારના છેલ્લા દિવસ સુધી ચાલુ રહ્યો હતો. પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિદ્ધુ પોતે અકાલી નેતા બિક્રમ સિંહ મજીઠિયા સાથે ખૂબ જ નજીકની લડાઈમાં ફસાઈ ગયા હતા. કેપ્ટન અમરિંદર સિંહ વિશે વાત કરીએ તો, પટિયાલા અર્બનના મતદારો તમામ નારાજગી છતાં તેમને વધુ એક તક આપવાના મૂડમાં છે. જોકે તેમની જીતનું માર્જિન ઓછું રહી શકે છે.