
ભરૂચના દહેજ GIDCમાં એક કંપનીમાં પ્રચંડ સાથે આગ લાગી, એક શ્રમજીવીનું મોત
અમદાવાદઃ ભરૂચમાં દહેજ જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગયો હતો. કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી હતી. જેથી આ ઘટનામાં 20 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં એક શ્રમજીવીનું મોત થયાનું જાણવા મળે છે. દહેજમાં એક મહિનામાં આગની આ પાંચમી ઘટના બનતા જીઆઈડીસીમાં કામ કરતા શ્રમજીવીઓમાં ભય ફેલાયો છે. ઈજાગ્રસ્તો પૈકી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દહેજમાં એક કંપનીના પ્લાન્ટમાં જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના ફાયર સેફટી સિસ્ટમના પ્રયાસો અપૂરતા સાબિત થતા મદદ માટે ONGC , GNFC અને આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડર મદદે બોલાવાયા હતા. 10 વધુ ફાયરટેન્ડર આગ ઉપર કાબુ મેળવવાની કામગીરીમાં જોતરાયા હતા તો પ્રચંડ વિસ્ફોટના કારણે કંપનીની ઓફિસોના કાચ ફૂટી ગયા હતા. આ ઘટનામાં 20 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ઘટનાની અલગ – અલગ સરકારી એજન્સીઓ દ્વારા તપાસ શરુ કરવાં આવી છે. આગના કારણની તપાસ સાથે ઇજાગ્રસ્તોને શક્ય તેટલી સારી સારવાર મળી રાહતે તે ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘટના સમયે પ્લાન્ટમાં 30 થઈ વધુ લોકો કામ કરતા હતા.