ગાંધીનગરમાં એસટીની પાંચ સ્લીપર કોચ અને 20 બસોનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઉભી કરવા પાંચ સ્લીપર કોચ અને ૨૦ સીટીંગ બસોનું રાજ્યના ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગૃહ મંત્રીએ બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે લોકોની યાત્રા સુખદ રહે તે માટે રાજ્યનો માર્ગ અને પરિવહન વિભાગ સતત પ્રયત્નશીલ છે. સાથે તેમણે તહેવારોમાં પણ પોતાની ફરજ અદા કરતા એસ.ટી કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ લોકોની સુખાકારી માટે તહેવારો સમયે પોતાની ફરજ નિભાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જે .એસ પટેલ, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ,, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, ગુજરાત એસટી નિગમના એમ.ડી એન. એ. ગાંધી તથા ગાંધીનગર એસટી ડેપોના સ્ટાફ મેમ્બર્સ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે. કે દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. ત્યારે એસ ટી નિગમને વધુ 25 બસ ફાળવાતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે. સ્લીપર સુવિધા સાથેની બસને લીધે લાંબા રૂટ્સના પ્રવાસીઓને આરામદાયક મુસાફરીની સુવિધા મળી રહેશે. હાલ એસટી નિગમ દ્વારા પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે ખાસ બસો દોડાવવામાં આની રહી છે. જેમાં પ્રવાસીઓ ગૃપમાં બુકિંગ કરાવે તો મહાનગરોમાંથી પોતાના ગામ સુધી ખાસ બસ ફાળવવામાં આવી રહી છે.