તમિલનાડુમાં પરાજ્ય બાદ સ્ટાલિનએ CM પદેથી રાજીનામુ આપ્યું, વિપક્ષની જવાબદારી નિભાવશે
ચેન્નાઈ, 5 મે 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સત્તારૂઢ ડીએમકેના પ્રમુખ એમ.કે. સ્ટાલિને મંગળવારે મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પોતાનો રાજીનામું પત્ર રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને મોકલી આપ્યો છે. 23 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં અભિનેતા વિજયની પાર્ટી ‘ટીવીકે’ એ ડીએમકેને પછાડીને રાજ્યમાં સત્તા પલટો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક ભાવુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, જનતાનો ચુકાદો શિરોમાન્ય છે. ડીએમકે ગઠબંધન પર ભરોસો મૂકનાર તમામ મતદારોનો આભાર માનતા તેમણે કહ્યું કે, જનતાનો એક-એક વોટ અમારા માટે અમૂલ્ય છે.
સ્ટાલિને હારનું વિશ્લેષણ કરતા મહત્વના આંકડા રજૂ કર્યા હતા. જે અનુસાર, ડીએમકે ગઠબંધનને કુલ 1,54,82,782 મતો મળ્યા છે. બીજી તરફ વિજેતા પક્ષ અને ડીએમકે વચ્ચે મતોનો તફાવત માત્ર 17.43 લાખ મતોનો રહ્યો છે. કુલ મતદાનની ટકાવારીમાં હાર-જીતનું અંતર માત્ર 3.52 ટકા જેટલું સામાન્ય છે. કાર્યકરોનો ઉત્સાહ વધારતા સ્ટાલિને કહ્યું કે, “ડીએમકે છ વખત સત્તા ભોગવી ચૂકી છે. અમે અનેક જીત અને હાર જોઈ છે. જો સત્તામાં હોત તો જનતા માટે યોજનાઓ બનાવત, પરંતુ હવે વિપક્ષમાં છીએ ત્યારે જનતાના હક માટે પૂરી તાકાતથી લડીશું.” તેમણે ખાતરી આપી હતી કે ડીએમકે એક જવાબદાર અને મજબૂત વિપક્ષ તરીકે તમિલનાડુની રાજનીતિમાં સક્રિય રહેશે. સ્ટાલિનના રાજીનામા સાથે જ હવે રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો બન્યો છે.


