FCRA બિલ અંગે ભારતે અમેરિકાની 5 ગેરસમજ પર આપ્યો જવાબ, જાણો
વૉશિંગ્ટન ડીસી, 10 ઓગસ્ટ, 2026 – વિદેશમાંથી અલગ અલગ કારણસર સ્વૈચ્છિક સંગઠનોને મળતા દાનના નિયમોમાં ફેરફાર વાળા FCRA સુધારા બિલ, 2026 અંગે ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચા તેજ બની છે. આ દરમિયાન અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ બિલને લઈને ઊઠી રહેલા સવાલો અને આક્ષેપો પર જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ્સની એક શ્રેણી દ્વારા જણાવ્યું કે આ બિલને બાબતે ઘણી અફવા છે અને શું સત્ય છે?
ક્વાત્રાએ બિલ સાથે જોડાયેલી પાંચ મોટી ગેરસમજો પર ભારતનો પક્ષ રજૂ કર્યો છે. જેમાં એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે નવો કાયદો NGOs અને ધાર્મિક સંસ્થાઓની મિલકતોને નિશાન બનાવી શકે છે અથવા સિવિલ સોસાયટીને મળતી વિદેશી મદદ પર રોક લગાવી શકે છે. હવે ભારતીય રાજદૂતે આ દાવાઓની એક પછી એક સત્યતા જણાવી છે.
ગેરસમજઃ 1- સિવિલ સોસાયટીને મળતી વિદેશી મદદ બંધ થઈ જશે
ભારતે એવા દાવાઓને ફગાવી દીધા કે તે એવો નવો કાયદો બનાવી રહ્યું છે, જેનાથી સિવિલ સોસાયટીને મળતી વિદેશી મદદ બંધ થઈ જશે. ક્વાત્રાએ કહ્યું કે દેશમાં વિદેશી નાણાંના આગમન અને જાહેર કે રાજકીય પ્રવૃત્તિઓમાં તેના ઉપયોગને નિયંત્રિત કરવો એ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલું એક જરૂરી પગલું છે. તેમણે કહ્યું કે વિશ્વના ઘણા લોકશાહી દેશોમાં પણ આ પ્રકારના નિયમો છે. ભારતમાં પહેલો FCRA કાયદો 1976 માં આવ્યો હતો. ત્યારબાદ 2010 માં તેને બદલીને વધુ આધુનિક કાયદો બનાવાયો. પછી 2016, 2018 અને 2020 માં તેમાં સુધારા કરવામાં આવ્યા હતા.
There are many misunderstandings in the media and in civil society about the proposed Foreign Contribution (Regulation) Amendment Bill(FCRA), 2026.
Here is the Myth vs. Reality check.— Amb Vinay Mohan Kwatra (@AmbVMKwatra) August 10, 2026
ગેરસમજઃ 2- FCRA ના કારણે NGO અને ચેરિટી સંસ્થાઓને નુકસાન થયું છે
ક્વાત્રાએ એવા દાવાઓને પણ ફગાવી દીધા કે FCRA ના કારણે NGO અને ચેરિટી સંસ્થાઓને નુકસાન થયું છે અથવા નવો સુધારો તેમના કામ પર વધુ રોક લગાવશે. તેમણે જણાવ્યું કે રજિસ્ટર્ડ સંસ્થાઓને મળતું વિદેશી ફંડ 2010-11 માં આશરે 1.2 billion ડૉલર હતું, જે 2024-25 માં વધીને 2.67 billion ડૉલર થઈ ગયું. ભારતમાં 30 lakh થી વધુ NGO છે. પરંતુ તેમાંથી માત્ર 14,450 NGO પાસે જ FCRA રજિસ્ટ્રેશન છે, એટલે કે વિદેશી દાન લેવાની મંજૂરી છે.
ક્વાત્રાએ ઉમેર્યું કે આનો અર્થ એ થયો કે સિવિલ સોસાયટીનો એક બહુ મોટો વર્ગ એવો છે, જે આ કાયદાના ક્ષેત્રમાં આવતો જ નથી. તેમણે કહ્યું કે FCRA કોઈને વિદેશી ચેરિટી, રિસર્ચ ગ્રાન્ટ કે માનવતાવાદી મદદ લેતા રોકતું નથી. તેના હેઠળ માત્ર ત્રણ મુખ્ય બાબતો જરૂરી છે- રજિસ્ટ્રેશન કરાવો, નક્કી કરેલી પ્રક્રિયા દ્વારા નાણાં મેળવો અને જણાવો કે તે નાણાંનો ઉપયોગ કેવી રીતે કર્યો.
ગેરસમજઃ 3- કાયદાના કારણે NGO, ધાર્મિક ચેરિટી અને પૂજા સ્થળોની મિલકતો જપ્ત થઈ જશે
રાજદૂતે એ ચિંતાઓ પર પણ જવાબ આપ્યો કે નવા સુધારાથી NGO, ધાર્મિક ચેરિટી, પૂજા સ્થળો, હોસ્પિટલો, શાળાઓ અને વિદેશી દાન પર નિર્ભર બીજી સંસ્થાઓની મિલકતો જપ્ત થઈ શકે છે (સીઝ થઈ શકે છે). ક્વાત્રાએ કહ્યું કે જો કોઈ સંસ્થાનું FCRA રજિસ્ટ્રેશન રદ થઈ જાય છે અથવા સંસ્થા પોતે તે છોડી દે છે, તો વિદેશી નાણાં અને તેનાથી બનાવાયેલી મિલકતો પહેલાથી જ રાજ્ય સરકારની એક ઓથોરિટી હેઠળ જતી રહે છે. તેમણે કહ્યું કે આ નિયમ 2010થી અમલમાં છે.
ક્વાત્રાએ કહ્યું કે પૂજા સ્થળોને અલગ સુરક્ષા આપવામાં આવશે. જો કોઈ એવી સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ થાય છે, જેણે વિદેશી નાણાંથી કોઈ પૂજા સ્થળની મિલકત બનાવી છે, તો તે મિલકત તે જ ધર્મની અન્ય કોઈ FCRA રજિસ્ટર્ડ સંસ્થાને સોંપવામાં આવશે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તે સ્થળ પર પૂજા અર્ચના ચાલુ રહી શકે.
ગેરસમજઃ 4- કાયદામાં કોઈ ખાસ ધર્મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે
ક્વાત્રાએ એ આરોપને પણ ફગાવી દીધો કે FCRA કાયદો કોઈ ખાસ ધર્મ કે સમુદાયને નિશાન બનાવી રહ્યો છે. તેમણે કહ્યું કે આનાથી વધુ ખોટી વાત બીજી કોઈ હોઈ શકે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાયદો ધર્મ, સમુદાય કે વિચારધારાના આધારે ભેદભાવ કરતો નથી. તે તમામ સંસ્થાઓ પર સમાન રીતે લાગુ પડે છે.
ગેરસમજઃ 5- ભારત એવું કરનારો એકમાત્ર દેશ છે
ક્વાત્રાએ એ દાવાને પણ રદબતલ કર્યો કે ભારત આ પ્રકારનો કાયદો બનાવનારો દુનિયાનો એકમાત્ર દેશ છે. તેમણે અમેરિકાના 1938ના ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ અને 2010ના ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ 2018માં અને કેનેડાએ 2024માં આવા કાયદા બનાવ્યા હતા. બ્રિટનની યોજના જુલાઈ 2025માં લાગુ થઈ, જ્યારે યુરોપિયન યુનિયન પણ આવા કાયદા પર વિચાર કરી રહ્યું છે.
2026 ના બિલમાં શું છે?
વિદેશી યોગદાન (નિયમન) સુધારા વિધેયક, 2026 ને 25 માર્ચે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં વિદેશી નાણાં અને તેનાથી જોડાયેલી મિલકતોના કબ્જા, દેખરેખ, સંચાલન અને ઉપયોગ કે નિકાલ માટે એક અલગથી ઓથોરિટી બનાવવાનું વ્યાપક માળખું આપવામાં આવ્યું છે. તેમાં વિદેશી ફંડ અને મિલકતોને તે ઓથોરિટી હેઠળ અસ્થાયી કે સ્થાયી રૂપે રાખવાની વ્યવસ્થા પણ સામેલ છે.


