Homeગુજરાતીદેશ-વિદેશદાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024: દિગ્ગજ અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર

દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024: દિગ્ગજ અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર

નવી દિલ્હી , 16 સપ્ટેમ્બર 2026: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024ના પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડના વિજેતાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ પસંદગી સમિતિની ભલામણને આધારે સરકારે ભારતીય સિનેમાના દિગ્ગજ અને બહુમુખી પ્રતિભા ધરાવતા કન્નડ અભિનેતા અનંત નાગને આ સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ભારતીય સિનેમા ક્ષેત્રે તેમના પાંચ દાયકાથી વધુ સમયના અભૂતપૂર્વ અને અતુલનીય યોગદાનને બિરદાવવા માટે તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.અભિનેતા અનંત નાગને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતના નર્મદા જિલ્લા સ્થિત કેવડિયા (એકતા નગર) ખાતે આયોજિત થનારા 72 મા નેશનલ ફિલ્મ એવોર્ડ સન્માન સમારોહ દરમિયાન વિધિવત રીતે એનાયત કરવામાં આવશે.

અનંત નાગના નામની જાહેરાત થતાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (ટ્વિટર) પર તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, “મહાન અભિનેતા અનંત નાગ જીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. દાયકાઓ સુધી પોતાની સહજ અદાકારી, શાનદાર અભિનય અને અદ્ભુત બહુમુખી પ્રતિભા દ્વારા તેમણે ભારતીય સિનેમા, વિશેષ કરીને કન્નડ સિનેમા પર એક ઊંડી છાપ છોડી છે. તેમણે જે પણ પાત્ર ભજવ્યું છે, તેમાં એક અલગ ઊંડાણ અને જીવંતતા જોવા મળે છે.”

4 સપ્ટેમ્બર 1948 ના રોજ કર્ણાટકના બેંગલુરુ ખાતે જન્મેલા અનંત નાગ કન્નડ સિનેમાના અત્યંત આદરણીય કલાકાર છે. તેમણે પોતાની લાંબી ફિલ્મી કરિયરમાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તેમણે મુખ્યત્વે કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આ સિવાય તેમણે હિન્દી, તેલુગુ, તમિલ, મરાઠી, મલયાલમ અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં પણ પોતાની બહુભાષીય અભિનય ક્ષમતા સાબિત કરી છે.

અનંત નાગને સુપ્રસિદ્ધ ટીવી સિરિયલ ‘માલગુડી ડેઝ’થી દેશભરમાં ઘરે-ઘરે લોકપ્રિયતા મળી હતી. આ ઉપરાંત કન્નડ સિનેમાની વૈશ્વિક સ્તરે સુપરહિટ બચેલી ફિલ્મ ‘KGF: Chapter 1’ માં પણ તેમણે ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને દર્શકોએ ખૂબ બિરદાવી હતી. તેમણે કોમેડી, ડ્રામાથી લઈને ગંભીર કેરેક્ટર રોલ્સ ખૂબ જ તલ્લીનતાથી ભજવ્યા છે. વર્ષ ૨૦૨૩માં તેમણે સિનેમા જગતમાં પોતાના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા હતા. સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે ગત વર્ષે જ કેન્દ્ર સરકાર દ્વારા તેમને ‘પદ્મ ભૂષણ’ સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular