1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના પશ્વિમ ઝોનને પુરા ફોર્સથી પાણી પહોંચાડવા કોતરપુરથી ચાંદખેડા સુધી નવી લાઈન નંખાશે
અમદાવાદના પશ્વિમ ઝોનને પુરા ફોર્સથી પાણી પહોંચાડવા કોતરપુરથી ચાંદખેડા સુધી નવી લાઈન નંખાશે

અમદાવાદના પશ્વિમ ઝોનને પુરા ફોર્સથી પાણી પહોંચાડવા કોતરપુરથી ચાંદખેડા સુધી નવી લાઈન નંખાશે

0
Social Share

અમદાવાદઃ  શહેરનાં પશ્વિમ વિસ્તારનો પુરા ફોર્સથી પીવાનું પાણી મળી રહે તે માટે મ્યુનિ,કોર્પોરેશને આયોજન કર્યું છે.  પીવાનાં પાણી પૂરવઠાની માંગ અને તેને પહોંચી વળવાના આયોજનનાં ભાગરૂપે મ્યુનિ.એ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પશ્ચિમ અમદાવાદ માટે અલાયદી 1600 એમએમની પાઇપલાઇન ચાંદખેડા સુધી પહોંચાડવા માટે 77 કરોડ ખર્ચવાનો નિર્ણય લીધો છે.

વોટર સપ્લાય કમિટી ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 1600 એમએમની લાઇન થકી દૂધેશ્વર વોટર વર્કસ સુધી પાણીનો જથ્થો પહોંચાડવામાં આવે છે, જ્યાંથી હાલ પશ્ચિમ અને મધ્ય ઝોનમાં 800-800 એમએમની બે લાઇન દ્વારા પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. તેમ છતાં પશ્ચિમ વિસ્તારમાં અને મધ્ય ઝોનમાં પીવાનાં પાણીની તંગીને લઇ અવારનવાર બૂમ પડતી રહે છે. તેને પહોંચી વળવા બંને ઝોનમાં નવી ટાંકીઓ પણ બનાવવામાં આવી છે.

પશ્ચિમ અને મધ્ય ઝોનની પાણીની સમસ્યા હલ કરવા તેમજ આગામી વર્ષોનાં આયોજનનાં ભાગરૂપે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારીને 1150 એમએલડી કરવામાં આવી છે અને કોતરપુરથી પશ્ચિમ અમદાવાદ માટે અલગ 1600 એમએમની લાઇન નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના માટે જુદા જુદા રસ્તા અંગે વિચારણા બાદ સિનિયર એન્જિનિયરોના પરામર્શથી કોતરપુરથી સાબરમતી નદી ઉપર નાનો એવો એક બ્રિજ બનાવીને ચાંદખેડા સુધી લાઇન પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોતરપુરથી ચાંદખેડા સુધી સવા નવ કિલોમીટર જેટલી લંબાઇની એમએસ સ્ટીલની1600  એમએમની લાઇન નાખવામાં આવશે, જેના માટે ટેન્ડર બહાર પાડી દેવાયા છે.ચાંદખેડા ખાતે વોટર વર્કસનું નિર્માણ કરીને ત્યાંથી વાસણા સુધીની મેઇન લાઇનમાં વાલ્વ નાખીને કોતરપુરથી આવતી લાઇનનું જોડાણ કરવામાં આવશે. આશરે બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થવાની ધારણા છે અને ત્યારબાદ પશ્ચિમ અમદાવાદની પાણીની સમસ્યા હલ થઇ જશે. આ લાઇન કાર્યરત થયા બાદ કોતરપુરથી દૂધેશ્વર વોટર વર્કસ સુધી પહોંચાડાતો પાણીનો જથ્થો ફક્ત મધ્ય ઝોનમાં પૂરો પાડવામાં આવશે. તેથી મધ્ય ઝોનની પાણીની ટાંકીઓ પણ ભરાઇ જશે.

તેમણે ઉમેર્યુ હતું, શહેરનાં નવા પશ્ચિમ વિસ્તાર માટે જાસપૂર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પશ્ચિમ, મધ્ય અને ઉત્તર વિસ્તાર માટે કોતરપુર તથા દક્ષિણ અને પૂર્વ વિસ્તાર માટે રાસ્કા એમ ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં વિસ્તરણ કરવામાં આવી રહ્યાં છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code