નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં ચાલી રહેલા 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023માં ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં પહોંચેલા વિશ્વભરના ભારતીયોને સંબોધતા વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને વિદેશમાં રહેતા ભારતીયોને જે તે દેશોમાં ભારતના રાજદૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, તમામ પ્રવાસીઓ પોતાની માટીને નમન કરવા આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, લોકો કહે છે કે ઈન્દોર એક શહેર છે, પરંતુ હું કહું છું કે ઈન્દોર એક સમયગાળો છે, જે ધરોહરને સાચવી રાખી છે. કેટલાક લોકો ઇન્દોરને સ્વચ્છતાની સાથે સ્વાદની રાજધાની પણ કહે છે. PMએ કહ્યું કે, લગભગ 4 વર્ષ પછી પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ફરીથી તેના મૂળ સ્વરૂપમાં યોજાઈ રહ્યું છે. દેશનું હૃદય કહેવાતા મધ્યપ્રદેશની ધરતી પર આ સંમેલન યોજાઈ રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રવાસી ભારતીય દિવસ ઘણી રીતે વિશેષ છે. થોડા મહિના પહેલા જ આપણે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી છે. અહીં સ્વતંત્રતા સંગ્રામની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યો છે. ભારતનું વૈશ્વિક વિઝન વધુ મજબૂત બનશે. વિશ્વના ઘણા બધા દેશોમાં જ્યારે ભારતના લોકો એક સામાન્ય પરિબળની જેમ દેખાય છે, ત્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના દેખાય છે. જ્યારે ભારતના વિવિધ પ્રાંતો અને પ્રદેશોના લોકો વિશ્વના કોઈ એક દેશમાં મળે છે ત્યારે એક ભારત, શ્રેષ્ઠ ભારતની સુખદ અનુભૂતિ થાય છે.
પીએમ મોદીએ જી-20માં ભારતની ઉપલબ્ધિનો પણ ઉલ્લેખ કર્યો કરતા કહ્યું કે, આ વર્ષે ભારત વિશ્વના G20 જૂથની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. ભારત આ જવાબદારીને એક મોટી તક તરીકે જોઈ રહ્યું છે. આ આપણા માટે વિશ્વને ભારત વિશે જણાવવાની તક છે. પીએમએ કહ્યું કે, આપણા પ્રવાસી ભારતીયોના યોગદાનનું આંકલન સમગ્ર દુનિયા કરે છે. જેમાં સશક્ત અને સમર્થ ભારતનો અવાજ પણ સંભળાય છે.