ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ચર્ચા માટે ભાજપની મળેલી કોર કમિટીમાં અમિત શાહે સમિક્ષા કરી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને બે મહિના બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપએ જોર શોરથી પ્રચાર આરંભી દીધો છે. ભાજપએ આ વખતે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનો સામનો પણ કરવાનો છે. એટલે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. વિપક્ષના વિરોધને ખાળવા ભાજપ દ્વારા રણનીતિ બનાવવામાં આ રહી છે. ઉપરાંત પક્ષના કેટલા ધારાસભ્યને રિપિટ કરવા અને સમાજકરણ અને જ્ઞાતિકરણને ધ્યાનમાં રાખીને કઈ બેઠક પર કોને ટિકિટ આપવી તેની પણ વિચારણા ચાલી રહી છે. ત્યારે ભાજપના રણનીતિકાર ગણાતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં બેઠકનું આયોજન કરાયું હતુ. જેમાં વિધાનસભા બેઠકના પ્રભારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, સહ પ્રભારી સુધીર ગુપ્તા અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ વગેરેએ માર્ગદર્શન આપ્યુ હતુ. ત્યારબાદ કોર કમિટીની બેઠક પણ મળી હતી. જેમાં કેટલીક બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રવિવારે સાંજથી મોડી રાત સુધી બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અલગ અલગ બેઠકો યોજી હતી. જેમા વિધાનસભા ચૂંટણીનો સમગ્ર રોડમેપ નક્કી કરવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણીની તૈયારીઓની કમાન પોતાના હાથમાં લીધી છે અને તૈયારીઓનો રોડમેપ નક્કી કર્યો હતો. કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના તમામ હોદ્દેદારો, પ્રદેશના મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સરકાર અને સંગઠનના સમન્વય, બૂથ સ્તરની કામગીરી પર ભાર મુકવા, વર્તમાન પરિસ્થિતિની અંદર જે પણ જે આંતરિક વિરોધ છે તેને ખાળવા મુદ્દે નબળી બેઠકો ઉપર ક્યા સંયોજકો કે વિસ્તારકો મોકલવાની તે અંગે તેમજ ટીમ વર્કથી કામ કરવા સહિતનામુદ્દે ચર્ચા પર ભાર મુકવામાં આવ્યો હતો.