દિલ્હીમાં બ્લાસ્ટના પગલે અમિત શાહે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કર્યો રદ
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઈઝરાઈલના દુતાવાસ નજીક થયેલા બ્લાસ્ટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ જાહેર સ્થળો ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળનો બે દિવસનો પ્રવાસ રદ કર્યો હતો. તેમજ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું કે, અમિત શાહનો બંગાળનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ આગામી દિવસોમાં બંગાળની મુલાકાતે આવશે.
પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા બંગાળમાં જીત હાંસલ કરવા માટે કાર્યકરો અને નેતાઓને જવાબદારીઓ સોંપી દીધી છે. તેમજ ભાજપના ટોચના નેતાઓ બંગાળમાં ધામા નાખ્યાં છે. ચૂંટણીઓના કેટલાક મહિનાઓ પૂર્વે પશ્ચિમ બંગાળમાં શાહની મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી હતી. એવી અટકળો હતી કે શાહની મુલાકાત બાદ ટીમએસીના કેટલાક નેતાઓ ભાજપમાં સામેલ થઈ શકે છે.