
અમરેલીઃ ખાંભાના નાનુડી રેવન્યુમાં આગ, વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
- જંગલ વિસ્તારમાં સાવજોનો વસવાટ
- સ્થાનિકો પણ આગ બુજાવવામાં જોડાયા
- મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં જંગલ વિસ્તારમાં આગના બનાવો બને છે, પરંતુ અમેલીના ખાંભા નજીક નાનુડી રેવન્યુમાં આગ લાગી હતી. આ વિસ્તારમાં સાવજો વસવાટ કરે છે. આગની જાણ થતા વનવિભાગની ટીમ તથા સ્થાનિકો સ્થળ ઉપર દોડી ગયા હતા તેમજ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં હતા.
અમરેલી-ખાંભા નજીક સિંહોના રહેઠાણ ગણતા વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી. ખાંભાના નાનુડી રેવન્યુના ડુંગરોમાં અચાનક આગ લાગી ગઈ હતી. નાનુડી રેવન્યુ દવ લાગતા સ્થાનિક લોકો આગ બુજાવવા કામે વળગ્યા હતા. ગામ લોકોની સાથે સાથે વન વિભાગનો સ્થાનિક સ્ટાફ આગ પર કાબુ મેળવવા કામ પર લાગ્યો હતો.
આ ઘટના થતાં ખાંભા મામલતદાર સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યું હતું. આગ કયા કારણસર લાગી હતી, એ હજુ જાણી શકાયું નથી. નાનુડી રેવન્યુના ડુંગરોમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં જોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.