
પાટણઃ જિલ્લાના ચાણસ્માના કંબોઇ પાસે ઇકો કારનું ટાયર ફાટકા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સાંતલપુરના અબિયાના ગામનો પરિવાર અમદાવાદ ખાતે પુત્રના લગ્ન લખીને પરત આવી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. બે દિવસ પછી જ પુત્રના લગ્ન હતા. જ્યારે આજે સાંજે સાત વાગ્યે લગ્ન વધાવવાના હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સાંતલપુરના અબિયાના ગામના ભીખાભાઇ નાઈના પુત્ર ભરતના 24 તારીખે લગ્ન નક્કી થયા હતા. જેની કંકોત્રીઓ સગા સંબંધીઓને આપી દેવામાં આવી હતી. ત્યારે આ પરિવાર રિતરિવાજ મુજબ વેવાઇને ત્યાં અમદાવાદ લગ્ન લખવા ગયા હતા. જ્યાંથી પરત ફરતાં ચાણસ્માના કબોઈ પાસે ઇકો કારનું ટાયર ફાટતા પૂરઝડપે જઈ રહેલી કાર પલટી મારી રોડસાઇટમાં ઉતરી ગઈ હતી, જેમાં ભીખાભાઈ નાઈ, સોમાભાઈ નાઈ અને 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોની લાશને પીએમ માટે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચાણસ્માના કંભોઈ ગામ નજીક રોડ પર પૂરફાટ ઝડપે ઈકો કાર જઈ રહી હતી ત્યારે કારનું ટાયર ફાટતા કારચાલકે કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ત્રણના મોત મિપજ્યા હતા. જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાં કોકિલાબેન અશોકભાઈ નાઈ, કલ્પેશભાઈ ભગવાનભાઈ નાઈ, નિખિલભાઈ લાલજીભાઈ, ભર્ગવ અશોકભાઈ અને હેત નિખિલભાઈનો સમાવેશ થાય છે.