ઓસ્ટ્રેલિયા: બ્રિસબેનના પ્રખ્યાત લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ,ખાલિસ્તાન સમર્થકોએ કર્યો હુમલો
દિલ્હી:ઓસ્ટ્રેલિયામાં હિંદુ દેવી-દેવતાઓના મંદિરોમાં તોડફોડની ઘટનાઓ ઓછી થતી જણાતી નથી. ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં એક મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે.ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિરમાં શનિવારે તોડફોડની ઘટના બની હતી. લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડની આ ઘટનામાં ખાલિસ્તાન સમર્થકોનો હાથ જણાવવામાં આવી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં બે મહિનામાં મંદિરમાં તોડફોડની આ ચોથી ઘટના છે.આ ઘટનાની માહિતી ત્યારે મળી જ્યારે સવારે ભક્તો પૂજા માટે મંદિરે પહોંચ્યા હતા.ખાલિસ્તાની સમર્થકોએ કથિત રીતે બ્રિસબેનના દક્ષિણમાં બરબેંકમાં શ્રીલક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી.
અગાઉ પણ બ્રિસબેનના અન્ય એક હિન્દુ મંદિર ગાયત્રી મંદિરને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા.આ કોલ પાકિસ્તાનના લાહોર શહેરમાંથી કરવામાં આવ્યા હતા.પાકિસ્તાનના લાહોરથી કરવામાં આવેલા ફોન કોલ્સ કથિત રીતે ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવ્યા હતા.
વિદેશની ધરતી પર હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવાનો આ પહેલો કિસ્સો નથી.આ પહેલા જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના કેરમ ડાઉન વિસ્તારમાં સ્થિત શ્રી શિવા વિષ્ણુ મંદિર પર પણ ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા.મંદિરમાં તમિલ હિન્દુઓ દ્વારા ત્રણ દિવસીય થાઈ પોંગલ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે મંદિરમાં ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.15 જાન્યુઆરીએ ખાલિસ્તાન સમર્થકોએ મેલબર્નમાં કાર રેલી કાઢીને ખાલિસ્તાન પર લોકમત માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓને સમર્થન મળી શક્યું નહીં અને મેલબર્નમાં ભારતીય મૂળની લગભગ 60,000 વસ્તી છે, પરંતુ રેલી દરમિયાન માત્ર સો લોકો જ હાજર રહ્યા.માનવામાં આવે છે કે આ ગુસ્સાને કારણે હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું.
જાન્યુઆરીમાં જ ઓસ્ટ્રેલિયાના મિલી પાર્ક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પર ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટના પણ સામે આવી હતી.મેલબર્નના ઈસ્કોન મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.હિન્દુ મંદિરોમાં તોડફોડ અને ભારત વિરોધી સૂત્રો લખવાનો મુદ્દો પણ ભારત સરકાર તરફથી ઓસ્ટ્રેલિયા સરકાર સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો.ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નિવેદન જારી કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.