બિહારઃ લાલુ યાદવ અને નીતિશકુમાર ભેગામળીને નવી પાર્ટી ઉભી કરે તેવી શકયતા
નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓની મદદથી ફરીથી સત્તા હાંસલ કરી છે. હવે નિતિશકુમાર ફરીથી ભાજપમાં સામેલ થાય તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. બીજી તરફ જેડીયુમાં નીતિશકુમાર સિવાય અન્ય કોઈ એવુ મોટુ નામ નથી જે નીતિશકુમારની ગેરહાજરીમાં પાર્ટીને સાચવી શકે. બીજી તરફ લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડી પણ બિહારમાં પોતાની પકડ મજબુત બનાવવાના પ્રયાસ કરી રહી છે. જેથી આગામી દિવસોમાં લાલુ, નિતિશકુમાર અને તેજસ્વી યાદવ જેડીયુ અને આરજેડી મર્જ કરીને અન્ય પાર્ટી ઉભી કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે, એટલું જ નહીં આ નવી પાર્ટીનું નામ પણ અલગ અને ચૂંટણીચિન્હ પણ નવુ રાખવામાં આવે તેવી શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના નાના પુત્ર તેજસ્વી યાદવ, બિહારના ડેપ્યુટી સીએમ, આગામી સમયમાં તેમની 25 વર્ષ જૂની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ અને તેના ચૂંટણી પ્રતીક ફાનસને અલવિદા કહી શકે છે. 25 વર્ષ પહેલા લાલુ યાદવે રાષ્ટ્રીય જનતા દળ બનાવ્યું હતું અને ફાનસને આરજેડીનું ચૂંટણી ચિન્હ બનાવ્યું હતું, હવે તેનું નામ અને ઓળખ બદલવાની અંદરખાને તૈયારીઓ ચાલી રહી છે. આવનારા સમયમાં બિહારની ત્રીજી સૌથી મોટી પાર્ટી નીતીશ કુમારની JDU લાલુ-તેજસ્વીની RJD સાથે મળીને ત્રીજી નવી પાર્ટી બનાવી શકે છે, જેનું ચૂંટણી ચિન્હ ફાનસ અને તીરને બદલે અન્ય જ રાખવામાં આવશે. તેમજ નામ પણ આરજેડી અને જેડીયુને બદલી અન્ય રાખવામાં આવે તેવી શકયતા છે. જેડીયુમાં પણ નિતિશ કુમાર સિવાય અન્ય કોઈ મોટા નેતા નહીં હોવાથી બંને પાર્ટીઓ મર્જ થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
10 ઓક્ટોબરે દિલ્હીમાં રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધિવેશનમાં લાલુ યાદવ સતત 12મી વખત આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન ઓપન સેશનમાં હજારો આરજેડી કાર્યકર્તાઓ અને નેતાઓની હાજરીમાં નેતા ભોલા યાદવે બંધારણમાં સંશોધનનો ચોંકાવનારો પ્રસ્તાવ મૂક્યો હતો. લાલુ યાદવ અને તેજસ્વી યાદવને તમામ આદેશ-સૂચનોનો અધિકાર આપવામાં આવ્યો છે. હવે લાલુ યાદવ અને તેજસ્વી યાદવ પાર્ટીનું નામ અને ચિહ્ન બદલી શકે છે. જેડીયુ અને આરજેડી મર્જ થાય તેવી અટકળો રાજકીય આલમમાં વહેતી થઈ છે. નવી પાર્ટી બનશે નામ અને પ્રતીક લાલુ, તેજસ્વી અને નીતિશે નક્કી કરવાનું રહેશે.
(PHOTO-FILE)