યુપી વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપનું મોટું સંગઠનાત્મક જ્ઞાતિ કાર્ડ: નવી ટીમમાં OBC ચહેરાઓને મહત્વ
લખનૌ, 25 જૂન 2026: ઉત્તર પ્રદેશમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પ્રચંડ પ્રચાર અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી અપેક્ષા મુજબ ઉત્તર પ્રદેશ ભાજપે પોતાની નવી પ્રદેશ કારોબારી ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલી આ નવી ટીમમાં સોશિયલ એન્જિનિયરિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં અન્ય પછાત વર્ગ અને પ્રાદેશિક સમીકરણોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સંગઠનને નવો ઓપ આપવા માટે પ્રદેશ કક્ષાએ 9 પ્રદેશ ઉપાધ્યક્ષ અને 8 પ્રદેશ મહામંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ પક્ષે પશ્ચિમ, બ્રજ, કાનપુર, અવધ, કાશી અને ગોરખપુર એમ તમામ 6 સંગઠનાત્મક પ્રદેશોના નવા પ્રાદેશિક પ્રમુખોના નામોની પણ જાહેરાત કરી દીધી છે.
નવી પ્રદેશ ટીમમાં સૌથી મોટું આકર્ષણ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહ રહ્યા છે, જેમને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પદની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ મંત્રી સુરેશ રાણા તેમજ તાજેતરમાં જ પક્ષમાં સક્રિય થયેલા પૂજા પાલને પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપના તીક્ષ્ણ અવાજ તરીકે દિનેશ પ્રતાપ સિંહને મુખ્ય પ્રવક્તા જાહેર કરાયા છે.
ચૂંટણીના ઘમસાણ પહેલા ભાજપે પોતાના તમામ ભગિની મોરચાઓમાં પણ ધરખમ ફેરફાર કરીને નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી દીધી છે. જે અંતર્ગત મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે સરોજ કુશવાહ અને ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે રોહિત મિશ્રાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ખેડૂત સમીકરણોને સાધવા દેવેન્દ્ર સિંહને કિસાન મોરચાની કમાન સોંપાઈ છે. આ જ રીતે પછાત વર્ગ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે પ્રકાશ પાલ અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે અશોક રાવતને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપની આ નવી ટીમ આગામી વિધાનસભા ચૂંટણીમાં જ્ઞાતિગત સમીકરણોને પક્ષની તરફેણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


