કોંગ્રેસે પાંચ રાજ્યની સાત રાજ્યસભા બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા
નવી દિલ્હી, 5 જૂન 2026: કોંગ્રેસે પાંચ રાજ્યની સાત રાજ્યસભા બેઠકો માટે મલ્લિકાર્જુન ખડગે સહિત ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે આશ્ચર્યજનક રીતે આ યાદી જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર અને આકરી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસ સમર્થકોનો એક વર્ગ જ્યાં ઉમેદવારોની પસંદગીને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યો છે, ત્યાં જ બીજી તરફ અનેક નેટીઝન્સ કોંગ્રેસની આ યાદીને લઈને પાર્ટી પર જોરદાર કટાક્ષ કરી રહ્યા છે.
જાહેર કરાયેલી યાદી અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમના ઉપરાંત પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડા અને મન્સૂર અલી ખાનને પણ કર્ણાટકથી જ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
It is an honour to be nominated to the Rajya Sabha from the beautiful state of Karnataka.
I am deeply grateful to Congress President Shri Mallikarjun @kharge, CPP Chairperson Smt. Sonia Gandhi, Leader of the Opposition Shri @RahulGandhi, General Secretary (Organisation)… pic.twitter.com/CloAfmVdJ4
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) June 4, 2026
મધ્યપ્રદેશમાંથી રાહુલ ગાંધીના અત્યંત નજીકના ગણાતા મીનાક્ષી નટરાજનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે ઝારખંડમાંથી કોંગ્રેસ અધ્યક્ષના મીડિયા સલાહકાર પ્રણવ ઝાને ટિકિટ મળી છે. રાજસ્થાનથી નીરજ ડાંગીને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. તામિલનાડુમાં રાજ્યસભાની એક બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસે પ્રવીણ ચક્રવર્તીને ઉમેદવાર બનાવ્યા છે, પ્રવીણને પણ રાહુલ ગાંધીની કોર ટીમમાં ગણવામાં આવે છે.
પવન ખેડાની ‘તપસ્યા’ ચર્ચાના કેન્દ્રમાં
ઉમેદવારોની યાદી સામે આવ્યા બાદ સૌથી વધુ ચર્ચા પવન ખેડાના નામની થઈ રહી છે. વાસ્તવમાં, વર્ષ 2022 માં જ્યારે તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા નહોતા, ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે, “કદાચ મારી જ તપસ્યામાં કોઈ ખામી રહી ગઈ હશે.” આ વખતે ઉમેદવાર તરીકે જાહેર થયા પછી પણ તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેમની તપસ્યા હજુ પૂરી નથી થઈ, અને તે તે દિવસે પૂરી થશે જે દિવસે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનશે.
તેમની આ ટિપ્પણીને લઈને નેટીઝન્સ તેમને અભિનંદન આપવાને બદલે તેમની ભારે મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક લોકો રમુજી અંદાજમાં કહી રહ્યા છે કે જો તેમની તપસ્યા રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે ત્યારે જ પૂરી થવાની હોય, તો આ તપસ્યા કદાચ ક્યારેય પૂરી થઈ શકશે નહીં.
કોંગ્રેસ સમર્થકોમાં જ અસંતોષની લાગણી
બીજી તરફ, કોંગ્રેસના જ સમર્થકોનો એક મોટો વર્ગ ઉમેદવારોની આ પસંદગીને લઈને સોશિયલ મીડિયા પર ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યો છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે પાર્ટી પોતાની નૈતિક રાજનીતિમાં હંમેશા દલિતો, પછાતો અને મુસ્લિમ સમુદાયોની ભાગીદારીની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી કરવાનો મોકો આવ્યો ત્યારે આ વર્ગોને યાદીમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી.


