પ્રાથમિક શાળાઓમાં ધો. 1માં 7 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને પણ પ્રવેશ આપવા શાળા સંચાલકોની માગ
ગાંધીનગરઃ રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો અમલ નવા શૈક્ષણિક વર્ષથી થઈ જશે. નવી શિક્ષણ નીતિ મુજબ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પ્રાથમિક શાળાઓમાં ધોરણ -1માં પ્રવેશ મળશે. આ નિયમને વાલીઓએ પણ આવકાર્યો છે. જ્યારે શાળાના સંચાલકોએ એવી માગણી કરી છે. 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બળકોને ધોરણ -1માં પ્રવેશ આપવો તે સારી બાબત છે પરંતુ એક વર્ષ મોટી ઉંમરના બાળકોને પણ ધો.1માં પ્રવેશ આપવો જોઈએ, એટલે કે સાત વર્ષ પૂર્ણ કરેલા બાળકોને પણ ધો. 1માં પ્રવેશ આપવો જોઈએ.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં નવી શિક્ષણ નીતિ મુજબ જુન 2022થી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ ધો.1માં પ્રવેશ ફાળવવામાં આવશે. જોકે, સંચાલક મંડળે એક વર્ષ માટે મોટી ઉંમરના બાળકોને પણ નીચેના વર્ગોમાં પ્રવેશ આપવા દેવાની છૂટ માટે માંગણી કરી છે. કોરોના કાળમાં બાળકો જૂનિયર કેજી અને સિનિયર કે.જી.યોગ્ય રીતે ભણી શક્યા ન હોવાથી ઘણા વાલીઓ તેમના બાળકો મોટા થઈ ગયા હોવા છતાં પાયો કાચો ન રહે તે માટે જુનિયર કે સિનિયરમાં પ્રવેશ અપાવવા માંગે છે. જેથી તેમના માટે માત્ર એક વર્ષ પુરતો મોટી ઉંમરના બાળકોને પણ નીચેના વર્ગોમાં પ્રવેશની છૂટ આપવા માંગણી કરાઈ છે. જૂન-2022થી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રથી ધો.1માં પ્રવેશ માટેની લાયકાત 6 વર્ષ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. આ નિર્ણય બાદ સંચાલક મંડળને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ધો.1ના પ્રવેશને લઈને રજૂઆતો મળી હતી.જેને લઇને સંચાલક મંડળ દ્વારા સરકારમાં એક વર્ષની છુટ આપવા માગ કરાઇ છે. રાજ્ય શાળા સંચાલક મંડળે પ્રાથમિક શિક્ષણ નિયામકને પણ આ અંગે જાણ કરી છે.