1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે ડેન્ગ્યૂ અને ઝાડા-ઊલટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે ડેન્ગ્યૂ અને ઝાડા-ઊલટીના કેસમાં થયો વધારો

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે ડેન્ગ્યૂ અને ઝાડા-ઊલટીના કેસમાં થયો વધારો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ભાદરવે પણ અષાઢી માહોલની જેમ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે, વરસાદી વાતાવરણને કારણે મચ્છર અને પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. શહેરમાં છેલ્લા બે મહિનામાં મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ડેન્ગ્યૂ અને સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.  શહેરમાં સપ્ટેમ્બરના પ્રથમ 10 જ દિવસમાં ડેન્ગ્યૂના 217 જેટલા કેસો નોંધાયા હતા. સપ્તાહમાં બે ગણા કેસ વધ્યા છે.ઉપરાંત સ્વાઈન ફ્લૂના 142 જેટલા કેસો નોંધાયા છે. વરસાદ બાદ ગંદકી અને ઠેરઠેર પાણી હજી ભરાયેલા હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. શહેરમાં ફોગિંગની અને દવા છંટકાવની કામગીરી યોગ્ય થતી ન હોવાથી રોગચાળો વકર્યો હોવાની ફરિયાદો ઊઠી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં  10 સપ્ટેમ્બર સુધીમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યૂના 217, મેલેરિયાના 72, ચિકનગુનિયાના 15 અને ઝેરી મેલેરિયા 06 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં ઝાડા ઊલટીના 150,  ટાઈફોઈડ 137, કમળાના 178 કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના કેસો સપ્ટેમ્બર મહિનામાં 142 જેટલા નોંધાયા છે. જેમાં સ્વાઇન ફલૂમાં 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં અને 30 ટકા દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યાં છે. શહેરમાં સૌથી વધુ કહેર સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યૂ, ઝાડા-ઊલટીનો જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

મ્યુનિના આરોગ્ય વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને રોકવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 15 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન થઈ ચૂક્યું છે. હજી 5 જેટલા મેડિકલ કેમ્પ કરવામાં આવશે. આમ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પાણીજન્ય રોગચાળો સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં અને કોટ સહિતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી સપ્ટેમ્બર મહિનામાં 424 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 21 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે. ત્યાં મ્યુનિ. કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code